Jagannath Rathyatra Netrotsav: આજે ભગવાન જગન્નાથ સરસપુર મામાના ઘરેથી જમાલપુર નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે બહુ કેરીઓ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેને કારણે નિજ મંદિર પરત ફરતા ભગવાનની નેત્રોત્સવવિધિ કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જગતના નાથની નેત્રોત્સવવિધિના દર્શનનો લાહવો લીધો. મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ પવિત્ર વિધિ બાદ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે ફૂલોથી સજાવેલી ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના જમાલપુરથી ખમાસા સુધીના રૂટ પર ભયજનક મકાનો અને પોલીસ બંદોબસ્ત અંગે માહિતી મેળવી અને આ દરમિયાન જમાલપુર વૈશ્ય સભા, મુસ્લિમ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, અને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
આ વિધિ પૂર્ણ થયા બાદ, સવારે 9:30 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં સવારે 11 વાગ્યે ભારતભરમાંથી પધારેલા સાધુસંતોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.





















