Home Gujarat Government Spokesperson Minister Speaks On Cyber Fraud

સાયબર ફ્રોડનો શિકાર બનો તો તુરંત કરો આ નંબર પર સંપર્ક : છેતરપિંડીના 24 કલાકમાં કોલ કરવાથી પરત મળી શકે છે તમારા ગયેલા પૈસા!

સાયબર ફ્રોડનો શિકાર બનો તો તુરંત કરો આ નંબર પર સંપર્ક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 11:32 AM IST

CM Bhupendra Patel Cabinet meeting : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં સાયબર સુરક્ષા અંગે રાજ્ય સરકારની સતર્કતા અને સફળતા અંગે થયેલી ચર્ચાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડમાં જતા નાણાંને ફ્રીઝ કરવાની કામગીરીમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સાયબર ક્રાઇમમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકો માટે 1930 હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જ્યારે કોઈ નાગરિક સાયબર ફ્રોડનો ભોગ બને છે, ત્યારે તેની ફરિયાદ મળતા જ સાયબર પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે. આ હેલ્પલાઇન દ્વારા સાયબર ગુનેગારના ખાતામાં પહોંચતા નાણાંને અધવચ્ચે જ અટકાવી ફ્રીઝ કરી દેવામાં આવે છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ કામગીરી માટે રાજ્યનું 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' દિવસ-રાત કાર્યરત છે. છેલ્લા ત્રણ મહિનામાં સાયબર સેલની કામગીરીમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. અગાઉની સરખામણીએ ફ્રોડ થયેલા નાણાં ફ્રીઝ કરવાની ક્ષમતામાં 50 ટકા જેટલો વધારો નોંધાયો છે, જે રાજ્યની સુરક્ષા એજન્સીઓની કાર્યક્ષમતા દર્શાવે છે. એટલું જ નહીં, ઓપરેશન મ્યૂલ હન્ટ અંતર્ગત એક અઠવાડિયામાં રાજ્યમાં 494 FIR દાખલ કરીને 340 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહેલી આ મહત્વપૂર્ણ કામગીરીને કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સમગ્ર મંત્રી મંડળે બિરદાવી હતી. મંત્રીએ નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, જો તમારી સાથે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ કે નાણાકીય છેતરપિંડી થાય, તો સમય વેડફ્યા વગર તુરંત 1930 નંબર પર કોલ કરો. સમયસર મળેલી જાણકારી તમારા મહેનતના નાણાં બચાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now