કેન્દ્ર સરકારે ઘઉંના સ્ટોકમાં ફરી ઘટાડો કર્યો છે. સ્ટોક કરવાના નિયમોમાં ફેરફાર સંગ્રહખોરીને ડામવા અને માર્કેટના ભાવમાં ઉતારચઢાવને રોકવા કરવામાં આવ્યો છે. મોંઘવારી અને સંગ્રહખોરી રોકવા માટે હોલસેલર્સ હવે 2 હજાર ટનને બદલે 1 હજાર ટન ઘઉં રાખી શકશે. તો રિટેલર્સ વિક્રેતાઓ 10 ટનને બદલે 5 ટન ઘઉં રાખી શકશે, જ્યારે માર્ટ અને રિટેઇલ ચેઇનના વિક્રેતાઓ 10 ટનને બદલે માત્ર 5 ટન ઘઉં રાખી શકશે. પ્રોસેસર્સ હવે તેમની ક્ષમતાના 50% ઘઉં રાખશે જ્યારે અગાઉ આ સ્ટોક મર્યાદા 60% હતી.
ક્યાં સુધી આ નિયમ રહેશે લાગુ? ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર ઘઉંની કિંમતોને સ્થિર રાખવા માગે છે અને મોંઘવારી ઘટાડવા માગે છે.જેના માટે સ્ટોકમાં ફેરફાર કરવો જરૂરૂ છે. ઘઉંનો સ્ટોક કરવાની લિમિટમાં કરાયેલો ઘટાડો 31 માર્ચ 2025 સુધી લાગુ રહેશે. અગાઉ સરકારે સૌથી પહેલા 24 જૂને સ્ટોક લિમિટનો નિયમ લાગુ કર્યો હતો. જે બાદ થોડા દિવસોમાં જ 9 સપ્ટેમ્બરે સ્ટોક લિમિટમાં ફરી ફેરફાર કર્યો હતો. ધઉંની કિમતો ઘટાડવા ખાદ્યમંત્રાલયે એમ પણ કહ્યું છેકે, સ્ટોક કરતી તમામ કંપનીઓએ સ્ટોક લિમિટ પોર્ટલ (https://evegoils.nic.in/wsp/login) પર માહિતી આપવી પડશે. તમારે દર શુક્રવારે સ્ટોક વિશે માહિતી આપવી પડશે. સરકારને આ નિયમો લાગુ કરી ઘઉંના ભાવમાં ઘટાડો થવાની આશા છે. નિયમો તોડવા પર થશે કડક કાર્યવાહી:
જો કોઇ પણ કંપની અથવા રિટેઇલ ચેઇન નિયમ કરતા વધુ સંગ્રહ કર્યો હોવાની જાણ થશે તો ખાદ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારાઇ છે. જે રિટેઇલર્સ કે કંપની વધુ સંગ્રહ કરે છે, તો તેણે નોટિફિકેશન જાહેર થવાના 15 દિવસની અંદર નવી સ્ટોક મર્યાદા જાળવી રાખવાની રહેશે. જો કોઈ કંપની પોર્ટલ પર નોંધણી નહીં કરાવે અથવા સ્ટોક લિમિટના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




















