રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલોમાં હવે સારવારની સાથે સારસંભાળનો અભિગમ પણ અપનાવ્યો છે. મતલબ કે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ખાસ કાળજી લેવામાં આવશે... જે વયસ્ક દર્દીઓ સારવાર મેળવીને ઘરે જાય તેઓ એક સૂરે કહેશે- “સુખી થાજો, અને સર્વનું કલ્યાણ થાય” અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન કક્ષનો માત્ર 6 મહિનામાં જ 10 હજારથી વધુ વયસ્કોએ લાભ લીધો.
રાજ્યસરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં વયસ્ક દર્દીઓ માટે સ્પેશિયલ જીરીયાટ્રીક કેર તરીકે સ્પેશિયલ કેર રૂમ શરૂ કરવાની સૂચના આપી હતી, જે બાદ ખાસ પ્રકારના કક્ષ તૈયાર કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં 85થી 90 વર્ષની વયમાં આવતા 125 દર્દીઓએ આ સિનિયર સિટીઝન કક્ષનો લાભ લીધો, 90 વર્ષથી વધુ વયના 100 દર્દીઓએ આ કક્ષનો લાભ મેળવ્યો. 65 વર્ષ કે તેથી વધુ વયના દર્દીઓએ પણ આ ખાસ સુવિધા મેળવી છે. સરકારી હોસ્પિટલમાં હોસ્પિટાલિટીનો અનુભવ થાય ત્યારે ગરીબ દર્દીઓ કહી રહ્યા છે કે "સરકારી હોસ્પિટલમાં આવીને આપણે સાચો નિર્ણય લીધો... ઘણા ઓછા ખર્ચે અહીં ઉમદા સારવાર મળે છે અને સારસંભાળ પણ સારી કરવામાં આવી રહી છે...."રાજ્યની કેટલીક ખાનગી હોસ્પિટલ અને કોર્પોરેટ સેક્ટરમાં વયસ્કો માટે જે સ્પેશિયલ કેર ઉપલબ્ધ હોય છે, તેવી જ સુવિધાઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાઇ છે . અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જૂન ૨૦૨૪માં 65થી વધુની વયના વયસ્કો માટે શરૂ કરાયેલો 'સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષ' ખરા અર્થમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યો છે.આજદિન સુધી 10,341 સિનિયર સિટીઝન દર્દીઓ આ સેવાનો લાભ લઇ ચૂક્યા છે, જેમાં 4169 મહિલા અને 6172 પુરુષ દર્દીઓનો સમાવેશ થાય છે.
શું સુવિધાઓ છે ઉપલબ્ધ?
આ સિનિયર સિટીઝન કક્ષમાં વૃદ્ધ દર્દીઓને આરામથી બેસવાની, તેમના અલાયદા કેસ રજિસ્ટ્રેશન ડેસ્કની, પીવાના સ્વચ્છ પાણી તેમજ ટોઇલેટની સાથે જે તે વિભાગના ડૉક્ટરને બતાવવા જવા માટે વ્હીલચેર તેમજ ટ્રોલીની સાથે એક અલગથી અટેન્ડન્ટ મોકલવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.





