Commercial Gas Shortage: હાલ ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે દુનિયાભરમાં એક પ્રકારે અરાજકતા વ્યાપી ગઈ છે. ક્રૂડ ઓઈલ હોય કે પછી ગેસની વાત હોય હાલ વૈશ્વિક બજારમાં પરિસ્થિતિ તંગ છે. આ સ્થિતિની વચ્ચે ગુજરાતમાં પણ રાંધણ ગેસની અછત ઉભી થઈ છે. જેમાં ખાસ કરીને કોર્મશિયલ ગેસ એટલેકે, હોટલોમાં કે કેન્ટીનોમાં કે પાણી-પીણીના સ્ટોલ પર વપરાશમાં લેવાતા LPG ગેસની ભારે તંગી ઉભી થઈ છે. પરિસ્થિતિ વધુ તંગ બને તો ઘર વપરાશના ગેસ પર પણ તેની અસર પડી શકે છે. એવામાં સુરતની મુલાકાતે આવેલાં ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના એક નિવેદને સૌ કોઈને ચોંકાવી દીધાં છે.
ગુજરાતમાં કોમર્શિયલ ગેસની અછત વચ્ચે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ સ્પષ્ટ જણાવ્યું છે કે હાલ સર્જાયેલી પરિસ્થિતિ સ્થાનિક કારણોસર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા ગેસની અછત ઊભી થઈ છે. તેમણે કહ્યું કે સમુદ્રી માર્ગો પર પડેલી અસરને કારણે ગેસની સપ્લાયમાં અડચણો આવી રહી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં ગેસની ઉપલબ્ધિ પર અસર પડી રહી છે.
ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યુંકે, ‘ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ સત્તા નથી’. યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી સપ્લાય નહિ થાય. ઉદ્યોગ બંધ થશે તો ચાલશે પણ રસોડું બંધ ન થવું જોઈએ. હાલની સ્થિતિમાં સરકારે રસોડાને પ્રાથમિકતા આપી છે. સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ, SIECC ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ 26’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સંઘાણીએ ગેસ વિતરણ અંગે સરકારની નીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ સરકાર પાસે જેટલો પણ ગેસ સ્ટોક ઉપલબ્ધ છે તેમાં ઘરેલું ગેસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. લોકોના રસોડામાં ગેસ બંધ ન થાય તે સરકારની મુખ્ય જવાબદારી છે. ઉપરાંત હોસ્પિટલો અને જીવનજરૂરી સેવાઓને પણ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે પૂછવામાં આવતા સંઘાણીએ કહ્યું કે ‘કોમર્શિયલ’ શબ્દ પોતે જ તેની શ્રેણી સ્પષ્ટ કરે છે. હાલની પરિસ્થિતિમાં નક્કી કરવું પડે કે વેપાર બંધ રહેવું વધુ ગંભીર છે કે લોકોના રસોડાં બંધ રહેવું. સરકાર દ્વારા રસોડાને પ્રાથમિકતા આપવામાં આવી છે, જે યોગ્ય નિર્ણય છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી સપ્લાય સંપૂર્ણ રીતે સામાન્ય થવાની શક્યતા ઓછી છે.
ગેસની અછત વચ્ચે કાળાબજારી અને સંગ્રહખોરી અંગે પણ સંઘાણીએ કડક ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદે જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે અને કાળાબજારી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ સંજોગોમાં આવા તત્વોને બક્ષવામાં નહીં આવે.
ગેસની અછતની સીધી અસર સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને વીવિંગ ઉદ્યોગમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે તંગી સર્જાતા અનેક યુનિટ્સ પર અસર પડી છે. અંદાજે 10,000 જેટલા વીવિંગ યુનિટ્સ, જ્યાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ થાય છે, તે આ સમસ્યાથી સીધા પ્રભાવિત થયા છે. કાપડના ઉત્પાદન પહેલા યાર્ન પર પ્રક્રિયા કરવી જરૂરી હોય છે, જેના માટે ગેસ મહત્વપૂર્ણ છે. પરિણામે ગેસની અછત લાંબી ચાલે તો ઉદ્યોગ સાથે જોડાયેલી હજારો લોકોની રોજગારી પર પણ સંકટ ઊભું થઈ શકે છે.





















