વિદેશથી કોઈ ભારત આવે તો સાથે સોનું લાવવા અંગે કેટલાક નિયમો છે. જો નિયમ મુજબ યોગ્ય માત્રામાં તમે સોનું લાવો તો જ તમને છૂટ મળે છે. જો તમે નિયમથી વધુ સોનું વિદેશથી ભારત લાવો છો તો તમારા પર કાર્યવાહી થશે છે. તેવી જ રીતે ભારતથી વિદેશમાં જતી વખતે સાથે સોનું લઈ જવા પર કેટલાક નિયમો લાગુ પડે છે.
સોના અને રોકડ માટે છે ખાસ નિયમ
ભારતથી ફ્લાઇટમાં સોનું અને રોકડ વિદેશ લઈ જવા માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તેને સજા કરવામાં આવે છે. જો તમે પણ વારંવાર દેશ અને વિદેશમાં ફ્લાઇટ દ્વારા મુસાફરી કરો છો અને કોઈ મુશ્કેલીમાં પડવા માંગતા નથી. તો તમારે આ નિયમો વિશે માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે.
ડોમેસ્ટિક ફ્લાઈટમાં શું રાખશો ધ્યાન?
જો તમે ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઇટ દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો સોના અંગે કોઈ નિશ્ચિત નિયમ નથી. પરંતુ જો તમારી પાસે મોટી માત્રામાં સોનું મળી આવે છે તો CISF અને આવકવેરા અધિકારીઓ પૂછપરછ કરી શકે છે. જો તમારી પાસે 500 ગ્રામથી વધુ સોનું છે તો તેની ખરીદીનું સાચું બિલ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે બિલ વગર વધારાનું સોનું લઈ જાઓ છો તો આવકવેરા અધિકારીઓ તેને જપ્ત કરી શકે છે અને તમારે દંડ પણ ભરવો પડશે.
વિદેશ જતી વખતે આટલું ધ્યાન રાખો
જો તમે ભારતથી વિદેશમાં સોનું લઈ જઈ રહ્યા છો તો તમે જે દેશમાં જઈ રહ્યા છો ત્યાં સોનું લઈ જવાના નિયમો લાગુ પડે છે. તેથી તમે ભારતમાંથી જે પણ દેશમાં સોનું લઈ જઈ રહ્યા છો. તે દેશના કસ્ટમ નિયમો જાણવા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો નિયમો વિશે નહીં જાણતા હો તો તમારું સોનું તો જશે સાથે દંડ પણ ભરવો પડી શકે છે.
ડોમેસ્ટિક ફ્લાઈટમાં રોકડ માટેના નિયમો
જો તમે ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છો તો જો તમે 50 હજાર રૂપિયા સુધીની રોકડ રકમ સાથે રાખી શકો છો. જો 50 હજારથી વધુ રોકડ સાથે હોય તો તમારે તેનો સ્ત્રોત જણાવવો પડશે. જો સાચો સ્ત્રોત જાહેર કરવામાં નહીં આવે તો તે જપ્ત કરવામાં આવશે. જો રોકડ 2 લાખ રૂપિયાથી વધુ હોય તો કસ્ટમ વિભાગ તેની તપાસ કરી શકે છે અને ત્યાં પણ સ્ત્રોત જાહેર કરવો જરૂરી છે.
વિદેશ કેટલી રોકડ રકમ લઈ જઈ શકો?
જો કોઈને ભારતથી વિદેશમાં રોકડ રકમ લઈ જવાની હોય તો કોઈપણ ભારતીય પ્રવાસી 2.5 લાખ રૂપિયા સુધીનું વિદેશી ચલણ લઈ જઈ શકે છે. જો તમે આનાથી વધુ લઈ જવા માંગતા હો તો તમારે RBI પાસેથી પરવાનગી લેવી પડશે.






