યોજના મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) રાવ ઇન્દ્રજીત સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે ભારતે છેલ્લા દાયકામાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII)માં શાનદાર પ્રદર્શન કર્યું છે. 2015માં ભારતનો રેન્ક 81 હતો, જ્યારે 2024માં તે સુધરીને 39 પર પહોંચી ગયો છે. એટલે કે, ભારતે 42 પોઈન્ટનો સુધારો કર્યો છે.
મંત્રીએ જણાવ્યું કે GII રેન્કિંગ 70થી વધુ ઈન્ડિકેટર્સના આધારે નક્કી થાય છે, જે દેશની નવીનતા ક્ષમતા અને સામાજિક-આર્થિક વિકાસના વિવિધ પાસાઓને દર્શાવે છે. ભારતના સુધરેલા રેન્કિંગનો અર્થ એ છે કે દેશમાં નવીનતા અને વિકાસનું વાતાવરણ વધુ મજબૂત બન્યું છે.
વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ
અવકાશ અને રિન્યૂએબલ એનર્જીમાં ભારતે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે.
સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી સાધનોના વિકાસ અને ઉત્પાદનમાં વધારો થયો છે.
કોવિડ-19 દરમિયાન ભારતે સ્વદેશી વેક્સીન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું ઉત્પાદન કરીને વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
શિક્ષણ ક્ષેત્રે ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ બન્યું છે.
સ્ટાર્ટઅપ્સ અને નવીનતા માટેનું માળખું મજબૂત કરવામાં આવ્યું છે, જેના કારણે ટેકનોલોજી અને સેવાઓ વધુ સુલભ થઈ છે.
ભારતની સફર યોગ્ય દિશામાં
ભારતના સુધરેલા રેન્કિંગ એ દર્શાવે છે કે દેશ આત્મનિર્ભરતા સાથે વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યો છે. ટેકનોલોજી, આરોગ્ય, સંરક્ષણ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે.
મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો આ જ ગતિ જાળવવામાં આવશે તો ભારત આવનારા સમયમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં વધુ ઊંચું સ્થાન મેળવી શકે છે.





