Geniben Thakor statement : થરાદ, રાહ અને લાખણી તાલુકાના 11 ગામોના ઠાકોર સમાજનું બંધારણ ઘડવા અંગે એક મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમાજની પરંપરાઓ, નિયમો અને સામાજિક વિકાસને લગતા મુદ્દાઓ ઉપરાંત અંધશ્રદ્ધા અને કુરિવાજો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલન દરમિયાન ગેનીબેન ઠાકોરનો વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયો, જેમાં તેમણે સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા ખાસ કરીને ‘દશામાના વ્રત’ જેવી માન્યતાઓ મામલે ખુલીને વિરોધ કર્યો હતો.
“દશામા નડે તો મારી પાસે મોકલજો, હું ગાડીમાં સાથે ફરવીશ''
ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ભુવા-ભોપાળા રવાડે ચઢવાના બદલે તબીબી સારવાર અને પુરુષાર્થ પર ભરોસો રાખો, દીકરીઓ અને બહેનોએ ‘દશામાના વ્રત’ કરવાની બિલકુલ જરૂર નથી” વધુમાં કહ્યું કે, “દશામા નડે તો મારી પાસે મોકલજો, હું ગાડીમાં સાથે ફરવીશ, બીજા સમાજને ક્યારેય દશામાં નડતા નથી, તો માત્ર આપણને જ કેમ?”
“ભુવાઓ માત્ર તમને વહેમમાં નાખીને તમારું આર્થિક શોષણ કરે''
તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે, “ભુવાઓ માત્ર તમને વહેમમાં નાખીને તમારું આર્થિક શોષણ કરે છે અને આખા કુટુંબને સામાજિક રીતે બરબાદ કરી નાખે છે” ગેનીબેન ઠાકોરની આ વક્તવ્ય શૈલી અને નિર્ભય રજૂઆતને સમાજના અનેક વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે. સંમેલનનો મુખ્ય સંદેશ એવો રહ્યો કે સમાજે હવે અંધશ્રદ્ધાથી દૂર રહીને શિક્ષણ, ચેતના અને પ્રગતિના માર્ગે આગળ વધવું જોઈએ.






