ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારની વાતો જાણે-જોઈને ફેલાવવામાં આવી રહી છે.
અફવાઓથી દૂર રહેવા અપીલ
સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ આવી અફવાઓથી દૂર રહે અને સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતા ગેરમાર્ગે દોરનારા સંદેશાઓ પર વિશ્વાસ ન કરે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યભરમાં તમામ પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠા વ્યવસ્થા સંપૂર્ણ રીતે સુચારૂ રીતે ચાલી રહી છે.
7,500 નવા PNG કનેક્શન
આ સાથે જ ઊર્જા ક્ષેત્રમાં વિકલ્પ રૂપે PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્શનનો વ્યાપ પણ ઝડપી ગતિએ વધારવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં અત્યાર સુધીમાં આશરે 7,500 નવા PNG કનેક્શન આપવામાં આવ્યા છે. આ પગલાંના કારણે ઘરગથ્થુ તેમજ વેપારી ઉપયોગ માટે વધુ સુરક્ષિત અને સરળ ગેસ સપ્લાય ઉપલબ્ધ બની રહ્યો છે.
અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે અફવાઓના કારણે લોકો અનાવશ્યક રીતે પેટ્રોલ પંપ પર લાઈનોમાં ઉભા રહીને પરેશાન ન થાય. ઈંધણની પૂરતી ઉપલબ્ધતા હોવાથી કોઈપણ પ્રકારની ગભરાટની જરૂર નથી.
સરકારે ફરી એકવાર વિશ્વાસ અપાવ્યો છે કે રાજ્યમાં ઈંધણ પુરવઠા માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે અને સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. તેથી નાગરિકોએ શાંતિ જાળવી રાખવી અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ.





