ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. 26 ફેબ્રુઆરી 2026 થી 18 માર્ચ 2026 દરમિયાન લેવાતી બોર્ડ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને મુસાફરીમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વ્યવસ્થા અમલમાં મૂકાશે.
વિદ્યાર્થીઓ સિટી બસમાં વિના મૂલ્ય મુસાફરી કરી શકશે!
પરીક્ષા સમય વિદ્યાર્થીઓના જીવનનો અત્યંત મહત્વનો પડાવ હોય છે. તેઓ તણાવમુક્ત વાતાવરણમાં પોતાના પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે અને પરત ફરી શકે તે શુભ આશયથી મહાનગરપાલિકાએ શહેરમાં દોડતી તમામ ઇલેક્ટ્રિક સિટી બસોમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા જાહેર કરી છે. આ સેવા કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત PM-eBus Sewa યોજના હેઠળ સંચાલિત બસોમાં લાગુ પડશે.
વિદ્યાર્થીઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય કરાયો
આ નિર્ણય અનુસાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાના ઘરની નજીકના બસ સ્ટોપથી પરીક્ષા કેન્દ્ર સુધી અને પરીક્ષા પૂર્ણ થયા બાદ કેન્દ્રથી પરત ઘર સુધી સિટી બસ સેવાનો મફત લાભ લઈ શકશે. વિદ્યાર્થીઓએ બસમાં કંડક્ટરને પોતાની અધિકૃત હોલ ટિકિટ (Admit Card) બતાવવી ફરજિયાત રહેશે. આ સુવિધા ફક્ત વિદ્યાર્થીના પરીક્ષાના દિવસોમાં જ માન્ય રહેશે. મહાનગરપાલિકા દ્વારા લેવાયેલ આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને તેઓ નિશ્ચિંતપણે પરીક્ષા આપી શકશે. સાથે જ નાગરિકો અને વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે આ સુવિધાનો યોગ્ય લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે સહકાર આપે.




















