અમદાવાદ શહેર પોલીસે એક મોટી સફળતા મેળવતા પ્રતિબંધિત અને અત્યંત કિંમતી ગણાતા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ઝોન 7 એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે સરખેજ વિસ્તારમાં વોચ ગોઠવીને ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પાસેથી દુર્લભ ગણાતું 8.70 કિલો અમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો મળી આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 8.70 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. રાતોરાત લખપતિ બનવાની લાલચમાં કોલેજમાં ભણતા યુવાનો પણ આ ગુનાખોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝોન 7 એલસીબી સ્ક્વોડના પીઆઈ વાય.પી. જાડેજાને બાતમી મળી હતી કે કેટલાક લોકો સરખેજ વિસ્તારમાં પ્રતિબંધિત પદાર્થ વેચવા માટે આવવાના છે. આ બાતમીના આધારે પોલીસે સરખેજ મકરબા ટોરેન્ટ પાવર રોડ પર બની રહેલા નવા બ્રિજ પાસે છટકું ગોઠવ્યું હતું. પોલીસની ટીમે ત્યાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા ચાર વ્યક્તિઓની તપાસ કરતા તેમની પાસેથી અમ્બરગ્રીસનો આ જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જ રીન્કુસિંહ રાજપુત, શશાંક પાંડે, એજેક્ષ વ્યાસ અને જતીન પાટીલની ધરપકડ કરી લીધી હતી.
પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી રીન્કુસિંહ રાજપુતે કબૂલાત કરી હતી કે તે મૂળ સુરતના એક વ્યક્તિ પાસેથી આ જથ્થો વેચવા માટે લાવ્યો હતો. ડીલ એવી થઈ હતી કે જો અમ્બરગ્રીસ વેચાઈ જાય તો મળતી રકમમાંથી અડધો હિસ્સો સુરતના વ્યક્તિને આપવાનો હતો. સુરતથી લાવેલો આ માલ શશાંકના ઘરે સાચવવા માટે રાખવામાં આવ્યો હતો. આ ટોળકીને કોઈ ગ્રાહક મળી ગયો હતો અને તેઓ ડિલિવરી આપીને કરોડો રૂપિયા કમાવાની ફિરાકમાં હતા ત્યાં જ પોલીસ ત્રાટકી હતી અને તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.
આ કેસમાં પકડાયેલા આરોપીઓની પ્રોફાઇલ પણ ચોંકાવનારી છે. મુખ્ય આરોપી રીન્કુસિંહ ડ્રાઇવિંગનું કામ કરે છે જ્યારે શશાંક હાલમાં બેરોજગાર છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અન્ય બે આરોપીઓ એજેક્ષ અને જતીન હજુ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. પોલીસે આ તમામ જથ્થો કબ્જે કરીને તેની ખરાઈ કરવા માટે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલી આપ્યો છે. આ અહેવાલ આવ્યા બાદ વન વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવશે અને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.





















