પહેલગામ આતંકવાદી હુમલાને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પાકિસ્તાની આર્મીના એક ભૂતપૂર્વ મેજરએ આ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ મેજર આદિલ રાજાએે જણાવ્યું હતું કે 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં થયેલો આતંકવાદી હુમલો પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરના આદેશ પર કરવામાં આવ્યો હતો અને આ આતંકવાદી હુમલાનો મુખ્ય સૂત્રધાર ખુદ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર છે. પાકિસ્તાન આર્મીના ભૂતપૂર્વ મેજર આદિલ રાજાએ એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે ચીન અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને પણ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે માહિતી આપી હતી.
આસીમ મુનીર ઝિયા ઉલ હક બનવા માંગે છે
આ દરમિયાન પૂર્વ પાકિસ્તાની મેજર આદિલ રાજાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળનું કારણ પણ સમજાવ્યું. આદિલ રાજાએ કહ્યું કે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો એટલા માટે કર્યો કારણ કે તે આગામી ઝિયા-ઉલ-હક બનવા માંગે છે અને તેણે પોતાની વિશ્વસનીયતા વધારવા માટે આ હુમલો કર્યો હતો. આ ઉપરાંત ભૂતપૂર્વ પાકિસ્તાની મેજરે એમ પણ કહ્યું કે આર્મી ચીફ આતંકવાદી સંગઠનોને પુનર્જીવિત કરી રહ્યા છે જેથી ભારત પર મોટા હુમલા કરી શકાય.
પાકિસ્તાન આર્મીના ભૂતપૂર્વ મેજર આદિલ રાજાને પૂછવામાં આવ્યું કે શું તેમનો પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સાથે કોઈ સંબંધ છે? આનો જવાબ આપતા રાજાએ કહ્યું કે જ્યારે તેઓ KPK વિશે કંઈક કહે છે ત્યારે તેમને પાકિસ્તાની સેનાના એજન્ટ કહેવામાં આવે છે અને જ્યારે તેઓ પાકિસ્તાની સેના વિરુદ્ધ બોલે છે ત્યારે તેમનું નામ PTI સાથે જોડવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે ફક્ત નક્કર પુરાવા સાથે સત્ય જ બોલે છે.
પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ શહેરના બૈસરન ખીણમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ખીણની મુલાકાતે આવેલા 26 નિર્દોષ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા.






