Mehsana News : મહેસાણાના કડી ખાતે યોજાયેલા 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું અને સૂચક નિવેદન આપ્યું હતું. પોતાના ભાષણ દરમિયાન તેમણે મોહમ્મદ ગઝની અંગે કડક શબ્દોમાં ટિપ્પણી કરતાં તેને ‘કૂતરા’ સાથે સરખાવ્યો હતો, જેના કારણે વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, “કૂતરો ગમે ત્યાં જાય તો પેશાબ કરે છે, જ્યારે ગઝનીનું લક્ષણ લૂંટ કરવાનું અને મંદિરો તોડવાનું હતું.”
'ભૂતકાળને ભૂલી જઈશું તો પ્રજા આપણને ક્યારેય માફ નહીં કરે'
નીતિન પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અને તેના ગૌરવશાળી ઈતિહાસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, જો આપણે આપણા ભૂતકાળને ભૂલી જઈશું તો આવનારો સમય અને પ્રજા આપણને ક્યારેય માફ નહીં કરે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, 'ઔરંગઝેબ અને ગઝની જેવા આક્રમણખોરો હિન્દુ ધર્મને કાયમી નુકસાન પહોંચાડી શક્યા નથી'. પોતાના ભાષણમાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતાં કહ્યું કે, 'સરદાર પટેલે દરિયાનું પાણી હાથમાં લઈ સોમનાથ મંદિરને ફરી ભવ્ય બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી'.
'...ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે'
આગળ વાત કરતા નીતિન પટેલે જણાવ્યું કે, 'આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે, જે ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે. સાથે સાથે તેમણે મફતલાલ ગ્રુપના વારસદાર પણ સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનું ઉલ્લેખ કર્યો હતો. તેમના આ નિવેદનોએ કાર્યક્રમમાં હાજર લોકોમાં ઉત્સાહ સાથે ચર્ચાનો વિષય પણ ઉભો કર્યો હતો.





















