આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતી કાલથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરવા માટે આ પ્રવાસને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
પ્રવાસની શરૂઆત 17 જાન્યુઆરીએ સાંજે થશે, જ્યારે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યને 7 ઝોનમાં વહેંચી ઝોનવાઈઝ કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે 18 જાન્યુઆરીએ અમદાવાદમાં મધ્ય ઝોન કાર્યકર્તા સંમેલન યોજાશે, ત્યારે 19 જાન્યુઆરીએ વડોદરામાં પૂર્વ ઝોન કાર્યકર્તા સંમેલનમાં કેજરીવાલ હાજરી આપશે.
આ સંમેલનોમાં આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. તેમાં ગોપાલ રાય, દુર્ગેશ પાઠક, ઇસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા અને ચૈતર વસાવા સહિત તાલુકા, જિલ્લા, મહાનગર અને બુથ લેવલના હજારો કાર્યકર્તાઓ ભાગ લેશે. આ તમામ કાર્યકર્તાઓને અરવિંદ કેજરીવાલ દ્વારા આવનારી ચૂંટણીની રણનીતિ, સંગઠન વિસ્તરણ અને જનસંપર્ક અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આમ આદમી પાર્ટીએ છેલ્લા સમયગાળામાં ગુજરાતભરમાં 18 હજારથી વધુ સભાઓ યોજીને જનસંપર્ક અભિયાન તેજ બનાવ્યું છે. પાર્ટીનો દાવો છે કે આ વ્યાપક જનસંપર્કના કારણે રાજ્યમાં AAP પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત વધતો જઈ રહ્યો છે. કેજરીવાલનો આ પ્રવાસ ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની હાજરીને વધુ મજબૂત બનાવશે અને આગામી દિવસોમાં પાર્ટીની રાજકીય ગતિવિધિઓને નવી દિશા આપશે.





















