Surendranagar Police Action: સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ડીવિઝનના પાંચ અલગ-અલગ પોલીસ મથકોમાં અગાઉ વિવિધ સમયગાળામાં ઝડપાયેલા પરપ્રાંતીય દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યવાહી વઢવાણના પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ તથા એએસપી વૈદેહી સરની હાજરીમાં પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જપ્ત કરાયેલો દારૂ વઢવાણ તાલુકાના વાઘેલા ગામ નજીક ખુલ્લી જગ્યાએ લઈ જઈ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. નાશની પ્રક્રિયા દરમિયાન તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું તેમજ પંચનામા સહિતની કાયદેસર કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. આ દારૂ વિવિધ પોલીસ મથકો શહેર, ગ્રામ્ય અને તાલુકા સ્તરે અલગ અલગ સમયગાળામાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

કુલ કિંમત રૂ. 4.19 કરોડનો દારૂ નાશ કરાયો
આ કાર્યવાહી અંતર્ગત કુલ નંગ 59,868 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 4.19 કરોડ જેટલી થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ દારૂ ગુજરાતમાં ગેરકાયદે રીતે ઘુસાડવામાં આવ્યો હતો અને તેની વહેંચણી થવાની તૈયારીમાં હતો, તે પહેલાં જ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓ સામે પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ છે. જિલ્લામાં દારૂની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ સામે સતત ચેકિંગ, વાહન તપાસ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી નાશ કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વોને કડક સંદેશો મળશે.
જિલ્લા પોલીસની પ્રતિબદ્ધતા
આ પ્રસંગે પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને ASP વૈદેહી સરે જણાવ્યું હતું કે કાયદાનો અમલ કડક રીતે ચાલુ રહેશે અને જાહેર સુરક્ષા તથા સમાજહિત માટે આવી કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દારૂબંધીને અસરકારક રીતે અમલમાં મૂકવા પ્રતિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.




















