સંગમ નગરીમાં કુંભ મેળાનો પ્રારંભ 13 જાન્યુઆરીથી થઈ ગયો છે અને તે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. વહિવટીતંત્રનો દાવો છે કે પ્રથમ શાહી સ્નાનના દિવસે એટલે 14 જાન્યુઆરીના રોજ 3.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી. આ 45 દિવસોમાં 45 કરોડ ભક્તો લ્હાવો લે તેવી શક્યતા છે. યુપીના CM યોગી આદિત્યનાથે પણ ટ્વિટર પર આ આંકડો શેર કર્યો હતો, પરંતુ સવાલ એ થાય છે કે આટલી મોટી ભીડની ગણતરી કેવી રીતે થાય છે?
ભીડની ગણતરી
ભક્તોની ગણતરી કરવાની પ્રક્રિયા 19મી સદીમાં શરૂ થઈ છે. 1882ના કુંભમાં અંગ્રેજોએ મુખ્ય માર્ગો પર બેરિકેડ મૂકીને ગણતરી કરી હતી. રેલવે ટિકિટના વેચાણના ડેટા પરથી પણ મેળામાં આવનારા લોકોની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. તે વખતે સંગમમાં 10 લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાનો અંદાજ હતો. 1906ના કુંભમાં લગભગ 25 લાખ લોકોએ ભાગ લીધો હતો. એ જ રીતે, 1918ના મહાકુંભમાં લગભગ 30 લાખ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી હતી.
AI અને CCTVની મદદથી ગણતરી
આ વખતે કુંભ મેળામાં ભીડનું મૂલ્યાંકન કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મેળામાં 200 જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિવાય સમગ્ર પ્રયાગરાજ શહેરમાં 268 સ્થળો પર 1107 કેમેરા લગાવવામાં આવ્યા છે. 100 થી વધુ પાર્કિંગ સ્થળો પર 700થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે જેના આધારે ગણતરી થાય છે.
બોટ, વાહન અને સાધુઓના કેંપનું પણ યોગદાન
બોટ, ટ્રેન, બસ અને ખાનગી વાહનોથી આવતા લોકોની ગણતરી કરીને પણ ભક્તોની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવે છે. સાધુ સંતો તેમજ અખાડાઓની મુલાકાત લેતા ભક્તોની સંખ્યા પણ કુલ આંકડામાં ઉમેરવામાં આવે છે. જો કે, એક જ વ્યક્તિની ગણતરી ઘણી વખત થઈ શકે છે. લોકો જુદા જુદા ઘાટ પર સ્નાન કરે છે અથવા મેળાના જુદા જુદા ભાગોમાં ફરતા હોય છે.
પહેલા ગણતરી કેવી રીતે કરતા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2013 પહેલાં મેળામાં આવનારા લોકોની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવતો હતો. જેમાં બસ, ટ્રેન અને ખાનગી વાહનોનો ડેટા લેવામાં આવતો હતો. અખાડાઓમાંથી તેમના ભક્તોની માહિતી પણ લેવામાં આવી હતી. અગાઉ ગણતરી કરવી સરળ હતી પરંતુ હવે શહેરમાં વધતી જતી આબબાદી અને અન્ય કારણોસ ગણતરી કરવી હવે સહેલી નથી.




















