logo-img
Female Cheetah Created History By Giving Birth To 5 Cubs For The Second Time In Kuno National Park Send Feedback Press Tab For Actions

કુનો નેશનલ પાર્કમાં 'આશા'નું અમૃત : માદા ચિત્તાએ બીજી વાર 5 બચ્ચાને જન્મ આપતા સર્જાયો ઈતિહાસ, જાણો ભારતની 'ચિત્તા સ્ટોરી'ની સફળતા

કુનો નેશનલ પાર્કમાં 'આશા'નું અમૃત
Published by: Offbeat Team
| Last Updated: Feb 07, 2026, 08:53 AM IST

ભારતમાં ચિત્તાઓના પુનઃવસન માટે શરૂ કરાયેલું 'પ્રોજેક્ટ ચિત્તા' અભિયાન અત્યારે તેની સફળતાના શિખરે છે. શનિવારે 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ કુનો નેશનલ પાર્કમાંથી મોટા સમાચાર આવ્યા છે. નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા 'આશા' બીજી વખત માતા બની છે. આશાએ 5 સુંદર અને તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ સમાચારની પુષ્ટિ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર કરીને 'આશા'ની આ વિરાસતને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી છે.

કુનો બન્યું 'ચિત્તા સ્ટેટ': સંખ્યા હવે 35 પર પહોંચી

આ નવા મહેમાનોના આગમન સાથે કુનોમાં ચિત્તાઓની કુલ સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

  • કુલ ચિત્તા: હવે મધ્યપ્રદેશમાં કુલ ચિત્તાઓની સંખ્યા 35 થઈ ગઈ છે.

  • જીવિત બચ્ચા: કુનોમાં ભારતીય ધરતી પર જન્મેલા અને અત્યારે જીવિત હોય તેવા બચ્ચાઓની સંખ્યા 24 પર પહોંચી છે.

  • જન્મનો રેકોર્ડ: ભારતમાં ચિત્તાના સફળ જન્મની આ આઠમી ઘટના છે, જે સાબિત કરે છે કે કુનોનું વાતાવરણ ચિત્તાઓ માટે હવે સંપૂર્ણપણે અનુકૂળ બની ગયું છે.

વિશ્વના અન્ય દેશો કરતા ભારતનો સર્વાઈવલ રેટ શ્રેષ્ઠ

ચિત્તા સંરક્ષણ બાબતે ભારત વિશ્વ માટે એક ઉદાહરણ બની રહ્યું છે. સામાન્ય રીતે વિશ્વભરમાં ચિત્તાના બચ્ચાઓના જીવિત રહેવાનો દર (Survival Rate) આશરે 40% જેટલો હોય છે. જોકે, મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આ દર આશ્ચર્યજનક રીતે 61% નોંધાયો છે. અત્યાર સુધી અહીં 26 બચ્ચા જન્મ્યા છે, જેમાંથી 10ના વિવિધ કારણોસર મોત થયા હોવા છતાં 24 બચ્ચાંઓ તંદુરસ્ત રીતે ઉછરી રહ્યા છે, જે એક મોટી સિદ્ધિ છે.

આગામી ફેબ્રુઆરીમાં નવા મહેમાનોનું થશે આગમન

ચિત્તા પ્રોજેક્ટનો બીજા તબક્કો પણ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી મોહન યાદવ અને કેન્દ્રીય વન મંત્રી વચ્ચે થયેલી બેઠક મુજબ, આગામી 28 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકા અને બોત્સ્વાનાથી વધુ 8 નવા ચિત્તાઓ ભારત લાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ નવા મહેમાનો માટે કુનોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

70 વર્ષના લાંબા ઈન્તેજાર બાદ મોદી સરકારની સફળતા

યાદ અપાવી દઈએ કે ભારતમાં 1952માં ચિત્તાઓને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. 70 વર્ષના લાંબા સમય બાદ, 17 સપ્ટેમ્બર 2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી લાવેલા 8 ચિત્તાઓને કુનોમાં રિલીઝ કરીને આ ઐતિહાસિક પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. આજે, 'આશા' જેવી માદા ચિત્તાઓ દ્વારા વધતો કુટુંબ-કબિલો એ વાતની સાક્ષી પૂરે છે કે ભારત વન્યજીવ સંરક્ષણમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now