અમદાવાદના વ્યસ્ત વિસ્તાર વૈષ્ણોદેવી સર્કલ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટથી હિમતનગર તરફ જઈ રહેલી એસટી બસ અને બે કાર વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એક કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે, સરખેજ તરફથી આવતી એક ફોર્ચ્યુનર કાર પુરફાટ ઝડપે ગાંધીનગર તરફ જઈ રહી છે. આ વચ્ચે ફોર્ચ્યુનર કારના ચાલકે ઓવરટેક કરવા જતાં કાર ડિવાઈડરમાં અથડાઈને નીચેના રોડ પર ઉતરી જાય છે અને સામેથી આવતી એસટી બસમાં ટક્કરાઈ જાય છે. આ ટક્કરથી બસનો ચાલક પણ કાબૂ ગુમાવે છે અને બસને ઉપરના રોડ પર ચડાવી દે છે.
ભાજપ નેતાના પુત્રનું મોત
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ અકસ્માતમાં ભાજપ નેતાના પુત્રનું મોત થયું છે. મૃતક ધવલ ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈ. બી. વાઘેલાના પુત્ર હતા. જ્યારે કારમાં સવાર 21 વર્ષીય યુવતી દેવાંશી યોગેશ પંડ્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ હતી. આ ઉપરાંત અકસ્માતમાં અફસાનાબાનુ ખલીફા અને રસુલ આજમને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, એસટી બસ અચાનક નિયંત્રણ ગુમાવી ડિવાઇડર કૂદી સામેની બાજુ જઈ કાર સાથે અથડાઈ હતી. આ જોરદાર અથડામણમાં બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક કાર સંપૂર્ણ રીતે ભાગીને ભુક્કો થઈ ગઈ હતી, જેમાં બેઠેલા કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. અન્ય કારમાં બેઠેલા મુસાફરો તેમજ બસમાં સવાર કેટલાક લોકોને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી માર્ગ પર જામ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી.
આ સમગ્ર મામલે એસટી બસના ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરાઈ છે.





















