M.Chinnaswamy Stadium: ક્રિકેટ ફેન્સ માટે એક નિરાશાજનક રિપોર્ટ્સ સામે આવ્યા છે. વિજય હજારે ટ્રોફીમાં વિરાટ કોહલી અને ઋષભ પંતને મેદાન પર લાઈવ બેટિંગ કરતા જોવાની ઈચ્છા રાખતા ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી દિલ્હીની મેચો સુરક્ષાના કારણોસર 'ક્લોઝ્ડ ડોર' (દર્શકો વગર) યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
સુરક્ષાના કારણોસર રાજ્ય સરકારનો કડક નિર્ણય
રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટક સરકાર કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ને નિર્દેશ આપવાની તૈયારી કરી રહી છે કે, સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવામાં ન આવે. જોકે, KSCA એ વચગાળાનો રસ્તો કાઢતા બે સ્ટેન્ડ ખોલવાની અને આશરે 2,000 થી 3,000 દર્શકોને મંજૂરી આપવાની દરખાસ્ત મૂકી હતી, પરંતુ રાજ્ય સરકારે સુરક્ષા અને ભીડ નિયંત્રણના કારણો આપી આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.
આ નિર્ણય પાછળના મુખ્ય કારણ શું?
આ નિર્ણય પાછળ મુખ્યત્વે બે મોટા કારણો જવાબદાર માનવામાં આવે છે:
સ્ટાર ખેલાડીઓની હાજરી: દિલ્હીની ટીમમાં વિરાટ કોહલી અને ઋષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. તેમની એક ઝલક મેળવવા માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી શકે છે, જેને સંભાળવી પોલીસ અને વહીવટીતંત્ર માટે પડકારજનક બની શકે તેમ છે.
ભૂતકાળની ઘટના: 4 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના (RCB) IPL ટાઇટલ સેલિબ્રેશન દરમિયાન થયેલી દુખદ ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી વહીવટીતંત્ર કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી.
મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું
શરૂઆતમાં આ મેચ અલુર ખાતે રમાવાની હતી, પરંતુ વિરાટ કોહલી અને ઋષભ પંત જેવા મોટા ખેલાડીઓના લોજિસ્ટિક્સ અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને મેચને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ખસેડવામાં આવી હતી. જોકે, હવે આ જ નિર્ણય સુરક્ષા વ્યવસ્થા માટે ચિંતાનો વિષય બન્યો છે.
નોંધ
વિરાટ કોહલી અને ઋષભ પંત સોમવારે મોડી રાત્રે બેંગલુરુ પહોંચી ગયા છે. તેઓ 24 ડિસેમ્બરે આંધ્રપ્રદેશ સામેની પ્રથમ મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. સરકાર દ્વારા નિયુક્ત સમિતિએ સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું છે અને હાલના સંજોગોમાં ફેન્સને સ્ટેડિયમમાં એન્ટ્રી મળવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે.





















