દૂરદર્શનના જાણીતા અને પ્રતિષ્ઠિત ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરીનું દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર સાથે જ દેશભરમાં ખાસ કરીને દૂરદર્શનના દર્શકો અને મીડિયા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની શાંત ઉપસ્થિતિ અને સંયમિત સમાચાર વાચનની શૈલી આજે પણ અનેક લોકોના મનમાં જીવંત છે.
સરલા મહેશ્વરીએ વર્ષ 1976 થી 2005 દરમિયાન પ્રતિષ્ઠિત દૂરદર્શન (DD News) પર ન્યૂઝ એન્કર તરીકે સેવા આપી હતી. તે સમયગાળા દરમિયાન તેઓએ પોતાની સરળ ભાષા, દોષરહિત હિન્દી ઉચ્ચારણ અને ગંભીરતાભરી પ્રસ્તુતિ દ્વારા અલગ ઓળખ ઉભી કરી હતી. ખાસ કરીને 1980 અને 1990 ના દાયકામાં તેમનો શાંત અવાજ અને સંતુલિત સમાચાર રજૂ કરવાની રીત દર્શકો માટે વિશ્વસનીયતા અને સ્થિરતાનું પ્રતિક બની હતી.
તે સમયના સમાચાર વાચકોમાં સરલા મહેશ્વરીનું નામ સન્માન સાથે લેવામાં આવતું હતું. તેઓએ દૂરદર્શન પર અનેક ઐતિહાસિક ઘટનાઓના સમાચાર પ્રસ્તુત કર્યા હતા અને પોતાની વ્યાવસાયિકતા માટે પ્રશંસા મેળવી હતી.
સરલા મહેશ્વરી સુરતના ભગવાનદાસ લેખડિયા પરિવારના સભ્ય હતા. તેમના નિધનથી મીડિયા ક્ષેત્રે એક ખાલીપો સર્જાયો છે. અનેક પૂર્વ સહકર્મીઓ અને દર્શકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના યોગદાનને યાદ કર્યું છે.




















