સુરત શહેરમાં એક હૃદયવિદારી ઘટના સામે આવી છે. શહેરના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગનસ બિલ્ડીંગમાં એક પરિવાર દ્વારા સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પરિવારે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં પતિ, પત્ની અને બે નાની દીકરીઓ મળી કુલ ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
સુરતમાં પરિવારનો સામુહિક આપઘાત
દુર્ભાગ્યવશ, આ બનાવમાં ત્રણ લોકોના મોત થયા છે. પતિ, પત્ની અને બે દીકરીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. જ્યારે બીજી દીકરીનો સમયસર સારવાર મળતા બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. બંને દીકરીઓની ઉંમર અંદાજે 5 થી 7 વર્ષ વચ્ચે હતી, જેના કારણે સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પતિ પત્ની અને બે દીકરીના મોત
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને તાત્કાલિક સારવારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આપઘાત પાછળનું કારણ શું હતું તે જાણવા પ્રયાસ કરી રહી છે. આ દુખદ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને પરિવારિક તથા સામાજિક પરિસ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
પોલીસે તપાસ હાથધરી
મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મૃતકોના મોબાઇલ ફોન કબજે કરી ડેટાની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ પરિવારજનો અને નજીકના સગા-સંબંધીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. વ્યાજે રૂપિયા લેવાની અને દબાણ થવાની દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી અકબંધ છે.




















