Dahod 13-year-old girl case: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક 13 વર્ષીય કિશોરી સાથે થયેલી દુષ્કર્મની ગંભીર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે. સંજેલી તાલુકાના કલ્યાણપુર ગામ નજીકના જંગલ અને ડુંગર વિસ્તારમાં આ અમાનવીય ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, સંજેલીના પિછોડા નાળ ફળિયામાં રહેતો 24 વર્ષીય સુભાષભાઇ રમેશભાઈ સંગાડા કિશોરીને “મામાના ઘરે છોડી દઈશ” તેવી લાલચ આપી ઘરેથી લઈ ગયો હતો. બાદમાં કલ્યાણપુર ગામની હદમાં આવેલા જંગલ અને ડુંગર વિસ્તારમાં લઈ જઈ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ દરમિયાન કિશોરીને ગંભીર ઇજાઓ
ઘટનાના સમયે કિશોરી માત્ર 13 વર્ષની નાબાલિક હોવાનું જાણવા મળ્યું છે. દુષ્કર્મ દરમિયાન કિશોરીને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ મામલે સંજેલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. પરમારે જણાવ્યું હતું કે, બાળકીના પિતાની ફરિયાદના આધારે સંજેલી પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાતાની સાથે જ જિલ્લા પોલીસ વડા તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર કડીને લઈને વધુ તપાસ ચાલી રહી છે
પોલીસે ગુપ્ત માહિતીના આધારે ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી સુભાષભાઇ રમેશભાઈ સંગાડાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ દ્વારા સુભાષભાઇ સંગાડાની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે તેમજ ઘટનાની સમગ્ર કડીને લઈને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, આવા ગંભીર ગુનાઓમાં આરોપીઓને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે અને કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો
આ ઘટનાના પગલે સંજેલી તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો છે. લોકો દ્વારા આરોપી સુભાષભાઇ રમેશભાઈ સંગાડા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે તેમજ નાબાલિક બાળાઓની સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, આવા બનાવો સમાજ માટે કલંકરૂપ છે અને તેમાં સંડોવાયેલા આરોપીઓને કડક સજા મળે તે જ ન્યાય છે. પોલીસ તંત્ર દ્વારા પણ લોકોમાં વિશ્વાસ આપતા જણાવ્યું છે કે, નાબાલિકો સામેના ગુનાઓમાં શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી છે અને પીડિતાને ન્યાય અપાવવા માટે તમામ કાનૂની પગલાં લેવામાં આવશે.





















