ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ ઝડપથી વિસ્તરી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ, સરકારની પ્રોત્સાહક નીતિઓ અને વધતી પર્યાવરણ જાગૃતિના કારણે હજારો લોકો હવે EV તરફ વળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે, જેના કારણે ‘ચાર્જિંગ ક્યાં કરવું?’ જેવી ચિંતા ઘણી હદ સુધી ઓછી થઈ છે. પરંતુ હવે ઇલેક્ટ્રિક કાર માલિકો માટે એક નવી અને વધુ મોટી ચિંતા ઊભી થઈ રહી છે, અને તે છે વાહનની બેટરીની લાઇફ અને તેની લાંબા ગાળાની સ્થિતિ.
ઇલેક્ટ્રિક વાહનની સૌથી મોંઘી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તેની બેટરી છે. ઘણા ગ્રાહકો માટે EV ખરીદતી વખતે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે બેટરી કેટલા વર્ષ સુધી ચાલશે અને જો તે સમય પહેલાં ખરાબ થઈ જાય તો શું થશે? કારણ કે બેટરીની બદલવાની કિંમત ઘણી વખત લાખો રૂપિયામાં પહોંચી શકે છે. આ જ કારણ છે કે EV માલિકોમાં બેટરી હેલ્થને લઈને ચિંતા સતત વધી રહી છે.
ઓટોમોબાઇલ ક્ષેત્રના નિષ્ણાતો જણાવે છે કે ઇલેક્ટ્રિક કારની કુલ કિંમતમાં લગભગ 40 થી 50 ટકા હિસ્સો માત્ર બેટરીનો હોય છે. એટલે કે જો બેટરીમાં કોઈ ગંભીર સમસ્યા સર્જાય અથવા તેને સંપૂર્ણપણે બદલવાની જરૂર પડે તો તેનો ખર્ચ કેટલીક નાની કારોની કિંમત જેટલો થઈ શકે છે. ઘણા ગ્રાહકો માટે આ સૌથી મોટું આર્થિક જોખમ માનવામાં આવે છે.
હાલમાં મોટાભાગની ઇલેક્ટ્રિક કારોમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) આપવામાં આવે છે, જે બેટરીનું વોલ્ટેજ, તાપમાન અને અન્ય કેટલાક પરિમાણો પર નજર રાખે છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ સિસ્ટમ ઘણી વખત બેટરીની અંદર રહેલી વાસ્તવિક સમસ્યાઓને શરૂઆતના તબક્કે શોધી શકતી નથી. ઘણી વખત બેટરીના સેલ્સમાં ધીમે ધીમે નુકસાન થતું રહે છે, પરંતુ તેનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે વાહનની રેન્જમાં નોંધપાત્ર ઘટાડો થવા લાગે અથવા પરફોર્મન્સ પર અસર દેખાવા લાગે.
ફાસ્ટ ચાર્જિંગ અને ગરમી વધારી શકે છે જોખમ
ભારત જેવા દેશોમાં ગરમી પણ બેટરી માટે એક મોટો પડકાર બની રહી છે. તાજેતરના અભ્યાસો અનુસાર વધુ તાપમાનવાળા વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાહનોની બેટરી તુલનાત્મક રીતે વધુ ઝડપથી ડિગ્રેડ થાય છે. જ્યારે બહારનું તાપમાન 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ થાય છે ત્યારે બેટરીની અંદર ચાલતી ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયાઓ વધુ ઝડપી બની જાય છે, જેના કારણે સમય જતાં તેની ક્ષમતા પર અસર પડે છે.
આ ઉપરાંત ફાસ્ટ ચાર્જિંગનો વધુ પડતો ઉપયોગ પણ બેટરીના આયુષ્યને અસર કરી શકે છે. આજકાલ ગ્રાહકો ઝડપથી ચાર્જિંગ પૂર્ણ કરવા માટે DC ફાસ્ટ ચાર્જર્સનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. જોકે વારંવાર ફાસ્ટ ચાર્જિંગ કરવાથી બેટરી પર વધારાનો દબાણ પડે છે, જે લાંબા ગાળે તેની હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે બેટરીને લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રાખવા માટે કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી બેટરીને 20 ટકા કરતાં નીચે ન જવા દેવી અને નિયમિત રીતે 100 ટકા સુધી ચાર્જ કરવાની આદત પણ ટાળવી જોઈએ. ઘણા નિષ્ણાતો 20 ટકા થી 80 ટકા વચ્ચે ચાર્જિંગ જાળવવાની સલાહ આપે છે, કારણ કે તે બેટરી પર ઓછું દબાણ ઊભું કરે છે.
EV માર્કેટ માટે કેમ મહત્વનો મુદ્દો?
ભારતમાં EV અપનાવવાની ગતિ વધી રહી છે, પરંતુ ગ્રાહકોનો વિશ્વાસ જાળવવા માટે બેટરીની વિશ્વસનીયતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ગ્રાહકોને બેટરી બદલવાના ખર્ચ અથવા તેની આયુષ્ય અંગે વધુ ચિંતા રહેશે તો EV માર્કેટના વિકાસ પર તેની અસર પડી શકે છે. આ કારણસર ઓટોમોબાઇલ કંપનીઓ હવે વધુ આધુનિક બેટરી ટેક્નોલોજી અને સ્માર્ટ બેટરી મોનિટરિંગ સિસ્ટમ્સ વિકસાવવા પર ભાર મૂકી રહી છે.
આવનારા વર્ષોમાં સોલિડ-સ્ટેટ બેટરી, સુધારેલી થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ અને વધુ સચોટ બેટરી હેલ્થ ડાયગ્નોસ્ટિક ટેક્નોલોજી જેવી નવીનતાઓ EV માલિકોની આ ચિંતાઓને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. ત્યાં સુધી ગ્રાહકો માટે યોગ્ય ચાર્જિંગ આદતો અને નિયમિત વાહન મેન્ટેનન્સ સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે.





