બાવળાના કવલા ગામમાં પિતાએ પુત્રની હત્યા કરી:રાત્રે જમવાની માગણી કરતા પુત્રને બાવળના ધોકાથી માર્યો, આરોપી પિતા ઝડપાયો
મરણજનાર-ગણપતભાઈ કરમણભાઇ મેર, રહે કવલા
અમદાવાદ બાવળા તાલુકાના કવલા ગામના ભુવાવાસમાં રહેતા કરમણભાઈ મેરે પોતાના પુત્ર ગણપતભાઈની હત્યા કરી નાખી. કરમણભાઈ તેમના બે પુત્રો મહાદેવભાઈ અને ગણપતભાઈ સાથે રહેતા હતા. ગણપતભાઈ બે દિવસથી બાઈક લઈને બહાર ગયા હતા. મોડી રાત્રે ઘરે આવીને જમવાનું માગ્યું. કરમણભાઈએ જમવાનું આપવાની ના પાડી અને કહ્યું કે જાતે બનાવીને ખાઈ લે. આ વાત પર ગણપતભાઈ ગાળો બોલવા લાગ્યા. ગુસ્સામાં આવેલા કરમણભાઈએ બાવળનો ધોકો તેમના માથામાં માર્યો. ગણપતભાઈ બેભાન થઈને સૂઈ ગયા.
આરોપી-કરમણભાઈ બુધાભાઈ મેર, રહે કવલા
સવારે મહાદેવભાઈ જાગ્યા ત્યારે ગણપતભાઈએ પાણી માગ્યું, પરંતુ માથામાં વાગ્યાની વાત કરી નહીં. પાણી પીને તે ફરી સૂઈ ગયા. મહાદેવભાઈ ગામમાં ગયા બાદ કરમણભાઈએ ગણપતભાઈને જગાડવાનો પ્રયાસ કર્યો. જ્યારે તે ન જાગ્યા ત્યારે બાજુમાં રહેતા કાકી અને એક ભાઈને બોલાવ્યા.108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. તપાસમાં ગણપતભાઈનું મૃત્યુ થયાનું જણાયું. કેરાળા જીઆઇડીસી પોલીસને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતદેહને બાવળાના સરકારી દવાખાને લઈ જવાયો અને ત્યાંથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો.મહાદેવભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી. શરૂઆતમાં ગુમ થયેલા કરમણભાઈને પકડી પાડવામાં આવ્યા. પૂછપરછમાં તેમણે ગુનાની કબૂલાત કરી. પોલીસે કરમણભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તેમને જેલમાં મોકલી દીધા.






