Home Gujarat Electricity Consumers Of Gujarat State Fuel Surcharge Reduced

ખુશખબર : વીજ ગ્રાહકને મોટો ફાયદો, સરકારે સરચાર્જમાં કર્યો આટલો ઘટાડો

ખુશખબર
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2024, 08:26 AM IST

'સુશાસન દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ આજે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડો
ઊર્જા મંત્રી દેસાઈએ કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ. 1120 કરોડનો લાભ થશે.

ઊર્જા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.

સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય
વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર-2024થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. 01/10/2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.

વીજ વપરાશ પર રૂ. 1120 કરોડનો લાભ
ઊર્જા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. 2.85થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે. આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડીસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ. 1120 કરોડનો લાભ થશે.

વધુમાં જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ. 50 થી 60ની માસિક બચત થશે તેમ મંત્રીએ વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now