El Nino Effect: ગુજરાત સહિત ભારત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. ગ્લોબલ વોર્મિંગની વિનાશક અસરો માટે હવે દુનિયાએ તૈયાર રહેવું પડશે. વાતાવરણમાં પ્રવર્તમાન માનવ સર્જિત પ્રદૂષણોને કારણે પ્રકૃતિ હવે તેનો પ્રકોપ પ્રગટ કરી રહી છે. મનુષ્યએ પ્રકૃતિનું જતન કરવાને બદલે તેને હંમેશા હાનિ પહોંચાડવાનું કામ કર્યું છે. એજ કારણ છેકે, અલગ-અલગ પ્રકારના વાવાઝોડા અને પૂરના પ્રકોપોનો દુનિયાએ સામનો કરવાનો વારો આવ્યો છે. આવો જ એક ખતરો આ વર્ષે દેશ પર મંડરાઈ રહ્યો છે. આ ખતરાનું નામ છે અલ નિનો.
ભારતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં જ દેશના અનેક વિસ્તારોમાં તાપમાન 35 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાતોના મતે આ પરિસ્થિતિ આવનારા અત્યંત ગરમ ઉનાળાનો સંકેત આપી રહી છે. વૈશ્વિક હવામાન સંસ્થાઓએ ચેતવણી આપી છે કે આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં ‘અલ નિનો’ની અસર વધવાની શક્યતા છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વના હવામાન પર અસર કરી શકે છે.
ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપઃ
હાલમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તો માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ‘લૂ’ જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના અનુસાર આ વખતે ઉનાળામાં અલ નિનોની લગભગ 60 ટકા શક્યતા છે, જેના કારણે ગરમી વધુ વધવાની શક્યતા છે.
શું છે ‘અલ નિનો’?
‘અલ નિનો’ એક પ્રાકૃતિક હવામાનિક ઘટના છે જે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં સર્જાય છે. જ્યારે પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન સામાન્ય કરતાં આશરે 2 ડિગ્રી સેલ્સિયસ વધારે થઈ જાય છે, ત્યારે તેને અલ નિનો કહેવામાં આવે છે. આ ઘટના વિશ્વભરના હવામાન ચક્રને અસર કરે છે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે, જ્યારે અન્ય જગ્યાઓ પર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે.
ભારતીય ચોમાસા પર પડી શકે અસરઃ
ભારત માટે અલ નિનો હંમેશા ચિંતા જનક પરિબળ રહ્યો છે. ભૂતકાળમાં જ્યારે પ્રબળ અલ નિનો જોવા મળ્યો હતો ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહ્યું હતું. વર્ષ 1982-83, 1997-98 અને 2015-16 દરમિયાન અલ નિનોની અસરને કારણે દેશના ઘણા વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેતીને ભારે નુકસાન થયું હતું. આ વર્ષે પણ જો ‘સુપર અલ નિનો’ વિકસિત થશે તો ચોમાસામાં વરસાદ ઓછો પડી શકે છે અને ગરમી વધુ વધી શકે છે.
પૂર, વરસાદ અને દુષ્કાળનું બેવડું જોખમઃ
વિજ્ઞાનીઓનું કહેવું છે કે અલ નિનોને કારણે હવામાનના પેટર્નમાં મોટા ફેરફારો જોવા મળે છે. કેટલાક ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વરસાદ ઓછો પડવાથી પાક નિષ્ફળ જવાનો ખતરો વધે છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં ચક્રવાતોની સંખ્યા વધવાની શક્યતા રહે છે.
સાવચેતી અને તૈયારી જરૂરીઃ
હવામાન વિભાગના નિષ્ણાતો માને છે કે બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. ખાસ કરીને ખેડૂતોને પાકની પસંદગી અને પાણીના સંચાલન અંગે પહેલેથી જ યોજના બનાવવી જોઈએ. સામાન્ય લોકોને પણ વધતી ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી અને પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી બની ગયો છે. આ રીતે જોવામાં આવે તો આ વર્ષે ‘અલ નિનો’ની સંભાવનાને કારણે ગરમી અને ચોમાસા બંને બાબતોમાં અનિશ્ચિતતા વધી શકે છે. તેથી સરકાર, ખેડૂતો અને સામાન્ય જનતાએ બદલાતા હવામાન માટે તૈયાર રહેવું જરૂરી છે.



















