વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ વચ્ચે જીવી રહ્યું છે, ત્યારે ઈરાન અને અમેરિકામાં આવેલા ભૂકંપના સમાચારે નવી ચિંતા જન્માવી છે. મંગળવારે ઈરાનના ગેરાશ પ્રાંતમાં રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આંચકો એટલો જોરદાર હતો કે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રસપ્રદ વાત એ છે કે, આ આંચકા એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલની વાયુસેના ઈરાનના વ્યૂહાત્મક સ્થળો પર સતત બોમ્બમારો કરી રહી છે. USGS (યુએસ જીઓલોજિકલ સર્વે) અનુસાર, આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતો. જોકે, હજુ સુધી આ કોઈ પરમાણુ પરીક્ષણ હોવાના પુરાવા મળ્યા નથી, પરંતુ યુદ્ધના માહોલમાં આવી ઘટનાઓ અનેક શંકાઓ પેદા કરે છે.
ઈરાનમાં યુદ્ધ અને ભૂકંપનો બેવડો ફટકો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા ચાર દિવસથી લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. ઈઝરાયેલના મિસાઈલ હુમલામાં કરમાન એરપોર્ટ પર 13 ઈરાની સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે. તેહરાન, ઈસ્ફહાન અને કૌમ જેવા મુખ્ય શહેરોમાં બોમ્બમારો ચાલુ છે. આ સૈન્ય કાર્યવાહી વચ્ચે આવેલા ભૂકંપને નિષ્ણાતો હાલમાં ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ ગણાવી રહ્યા છે. જોકે, ઈરાન જે રીતે શાહેદ ડ્રોન અને મિસાઈલોથી વળતો પ્રહાર કરી રહ્યું છે, તે જોતા સમગ્ર મધ્ય-પૂર્વ એશિયા અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું હોય તેવું લાગી રહ્યું છે.

અમેરિકાના 'એરિયા 52' માં રહસ્યમય ધ્રુજારી
ઈરાનની સાથે સાથે અમેરિકાના નેવાડા રાજ્યમાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. રવિવારે સવારે નેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ ભૂકંપનું કેન્દ્ર અમેરિકાના અત્યંત ગુપ્ત એવા 'ટોનોપાહ ટેસ્ટ રેન્જ' (જેને 'એરિયા 52' તરીકે પણ ઓળખવામાં આવે છે) પાસે છે.
100 થી વધુ આંચકા: શું ટ્રમ્પની ચેતવણીનો કોઈ સંકેત?
USGS ના રિપોર્ટ મુજબ, રવિવારથી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં 100 થી વધુ ભૂકંપના આંચકા નોંધાયા છે, જેમાંથી મોટાભાગના 2.5 થી વધુ તીવ્રતાના છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, "યુદ્ધની સૌથી મોટી લહેર હજુ આવવાની બાકી છે." આ વિસ્ફોટક નિવેદન અને પરમાણુ ટેસ્ટિંગ સાઇટ પાસે આવતા ભૂકંપો વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે અંગે સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ છે.
પરમાણુ પરીક્ષણ કે કુદરતી ઘટના?
સામાન્ય રીતે જ્યારે પરમાણુ પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે તેનાથી ઉદ્ભવતી સીઝમિક તરંગો કુદરતી ભૂકંપ કરતા અલગ હોય છે. અત્યાર સુધી અમેરિકા કે ઈરાન બંનેમાંથી કોઈ પણ દેશ દ્વારા પરમાણુ વિસ્ફોટની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ પરમાણુ પરીક્ષણ હોત તો તેના સિગ્નલ અલગ હોત. છતાં, વિશ્વભરમાં વધતા જતા તણાવને જોતા આ કુદરતી ઘટના પણ હવે રાજકીય ચર્ચાનો વિષય બની છે.



















