દેશમાં પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે સરકારે ધીમે-ધીમે E20 પેટ્રોલનો ઉપયોગ વધારવાનું શરૂ કર્યું છે. જોકે, કેટલાક વાહનચાલકો દ્વારા E20 પેટ્રોલ ભરાવ્યા બાદ કારમાં ટેક્નિકલ ખામીઓ આવ્યાની ફરિયાદો પણ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહકો શું કરી શકે અને તેમના કાનૂની અધિકારો શું છે, તે જાણવું અત્યંત જરૂરી છે. તાજેતરમાં છત્તીસગઢના રાયપુર જિલ્લા ગ્રાહક આયોગના એક મહત્વપૂર્ણ નિર્ણયે પણ આ મુદ્દાને ફરી ચર્ચામાં લાવ્યો છે.
રાયપુર ગ્રાહક આયોગનો મહત્વપૂર્ણ નિર્ણય
છત્તીસગઢના રાયપુર જિલ્લા ગ્રાહક આયોગે એક કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતાં મારુતિ સુઝુકીને ગ્રાહકને નવી કાર આપવાનો અથવા આશરે 20.50 લાખ રૂપિયા વ્યાજ સહિત પરત ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય ગ્રાહકની ફરિયાદના આધારે આપવામાં આવ્યો હતો.
આ કેસે E20 પેટ્રોલ અને વાહનની સુસંગતતા અંગે ગ્રાહકોમાં નવી ચર્ચા શરૂ કરી છે. જોકે, દરેક કેસના તથ્યો અલગ હોઈ શકે છે અને દરેક ફરિયાદમાં સમાન નિર્ણય આવે તે જરૂરી નથી.
E20 પેટ્રોલ શું છે?
E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે. સરકારનું લક્ષ્ય આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાનું, સ્થાનિક ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું અને વાહનોથી થતા પ્રદૂષણમાં ઘટાડો લાવવાનું છે. પરંતુ E20 પેટ્રોલનો ઉપયોગ માત્ર તેવા વાહનોમાં જ કરવો જોઈએ જે કંપની દ્વારા E20 Compatible તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા હોય. જો વાહન E20 માટે યોગ્ય ન હોય તો તેનો ઉપયોગ ટેક્નિકલ સમસ્યાઓનું કારણ બની શકે છે.
E20 પેટ્રોલ બાદ કારમાં સમસ્યા થાય તો શું કરવું?
જો E20 પેટ્રોલ ભરાવ્યા પછી તમારી કારમાં એન્જિન અથવા અન્ય કોઈ ટેક્નિકલ સમસ્યા જોવા મળે તો સૌથી પહેલા વાહનને કંપનીના અધિકૃત સર્વિસ સેન્ટરમાં લઈ જવું જોઈએ.
ત્યાં સંપૂર્ણ તપાસ કરાવી તેની લખિત રિપોર્ટ મેળવવી જરૂરી છે. આ રિપોર્ટમાં ખામીનું કારણ સ્પષ્ટ રીતે દર્શાવેલું હોવું જોઈએ. ભવિષ્યમાં કોઈ કાનૂની કાર્યવાહી કરવી હોય તો આ દસ્તાવેજ મહત્વપૂર્ણ પુરાવા તરીકે કામ આવી શકે છે.
ગ્રાહકોને કયા અધિકારો મળે છે?
જો સર્વિસ સેન્ટરની તપાસમાં સ્પષ્ટ થાય કે કારમાં આવેલી ખામીનું કારણ E20 પેટ્રોલ છે અને તમારી કાર કંપની દ્વારા E20 ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી, તો તમે ગ્રાહક આયોગ (Consumer Commission)માં ફરિયાદ નોંધાવી શકો છો.
જો તપાસ અને પુરાવાના આધારે તમારી ફરિયાદ યોગ્ય સાબિત થાય તો ગ્રાહક આયોગ કંપની અથવા ડીલરને વાહનની મરામત, નવી કાર આપવાનો અથવા યોગ્ય વળતર ચૂકવવાનો આદેશ આપી શકે છે.
જોકે, દરેક કેસમાં નિર્ણય ઉપલબ્ધ પુરાવા અને પરિસ્થિતિના આધારે લેવામાં આવે છે.
ફરિયાદ માટે કયા દસ્તાવેજો જરૂરી રહેશે?
જો તમે ગ્રાહક આયોગમાં ફરિયાદ કરવા માંગો છો તો કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સાચવી રાખવા જરૂરી છે.
તેમાં કાર ખરીદવાની રસીદ, અધિકૃત સર્વિસ સેન્ટરની તપાસ રિપોર્ટ, E20 પેટ્રોલ ભરાવ્યાની રસીદ, કંપની અથવા ડીલર સાથે થયેલી લેખિત વાતચીત, ઇમેઇલ અથવા અન્ય પુરાવાનો સમાવેશ થાય છે.
આ દસ્તાવેજો ફરિયાદની તપાસ દરમિયાન મહત્વપૂર્ણ પુરાવા તરીકે ઉપયોગી સાબિત થઈ શકે છે.
શું દરેક ગ્રાહકને વળતર મળશે?
ના. દરેક ગ્રાહકને આપમેળે વળતર મળતું નથી. દરેક કેસની અલગથી તપાસ કરવામાં આવે છે.
જો તપાસમાં સ્પષ્ટ થાય કે વાહન E20 પેટ્રોલ માટે યોગ્ય હતું અને છતાં પણ E20ના કારણે જ ટેક્નિકલ ખામી સર્જાઈ છે, તો જ ગ્રાહક આયોગ કંપની અથવા ડીલર સામે વળતર, મરામત અથવા નવી કાર આપવા જેવા આદેશ આપી શકે છે. જો ખામી અન્ય કોઈ કારણસર થઈ હોય અથવા વાહન E20 માટે મંજૂર ન હોય તો નિર્ણય અલગ હોઈ શકે છે.





