Sabarkantha HUDA News : HUDA મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારે HUDA ની રચનાને હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ખાસ કરીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ખેડૂતોના હિતમાં HUDA ની રચના સ્થગિત
છેલ્લા 108 દિવસથી ખેડૂત સંગઠનો અને સ્થાનિક ખેડૂતો દ્વારા સતત રજૂઆત અને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને તેમની માગ સંતોષવામાં આવી છે. બેઠક દરમિયાન ખેડૂતોને બાહેધરી આપવામાં આવી હતી કે ભવિષ્યમાં ફરી આ પ્રકારના આંદોલન કરવાની જરૂર ન પડે તે માટે સરકાર યોગ્ય નિર્ણય લેશે. ખેડૂતો તરફથી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે કે હવે આગળ કોઈ આંદોલન કરવાની ફરજ પડશે નહીં.
'સંગઠન દ્વારા આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી'
આ સાથે જ ખેડૂતો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો ભવિષ્યમાં ફરી HUDA લાવવામાં આવશે તો તેનો તેઓ ખુલ્લેઆમ વિરોધ કરશે. સરકારને ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને કોઈપણ નિર્ણય લેવાની અપીલ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં HUDA લાગુ કરવાના નિર્ણય સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ અંગે હિંમતનગરના ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'સંગઠન દ્વારા આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આજે આ નિર્ણય અંગે પદાધિકારીઓ અને હોદેદારો સાથે બેઠક યોજાઈ હતી'.
'HUDAની રચનાને હાલ માટે મુલત્વી રાખવાનો નિર્ણય'
કનુભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, 'નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અર્જુનભાઈ, પ્રદ્યુમ્નભાઈ, ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા બાદ HUDAની રચનાને હાલ માટે મુલત્વી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રીતે સરકાર દ્વારા ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયને ખેડૂતો અને સ્થાનિક સંગઠનો દ્વારા સંતોષજનક ગણાવવામાં આવી રહ્યો છે'.





















