અષાઢી બીજના પવિત્ર અવસરે વિશ્વવિખ્યાત દ્વારકાના જગત મંદિરે ભગવાન દ્વારકાધીશની ભવ્ય રથયાત્રા અને વિશેષ ધાર્મિક વિધિઓનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. 'જય દ્વારકાધીશ'ના ગગનભેદી જયઘોષ, શરણાઈ અને બેન્ડવાજાના મંગલ સૂર વચ્ચે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશના બાલસ્વરૂપને સુંદર રીતે શણગારેલી ચાંદીની દિવ્ય પાલખી તથા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂજારી પરિવારના સભ્યો અને સેંકડો ભાવિકોની ઉપસ્થિતિમાં ઠાકોરજીની ભવ્ય રથયાત્રા જગત મંદિરના પટાંગણમાં નીકળી હતી. ભક્તોએ ભારે ઉત્સાહ સાથે રથ ખેંચીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
પરિક્રમાની પરંપરા ભક્તિભાવ સાથે નિભાવાઈ
જગત મંદિરની પરંપરા મુજબ બાળ દ્વારકાધીશને ચાંદીના દિવ્ય રથમાં બિરાજમાન કરીને મંદિરના પટાંગણમાં ચાર પરિક્રમા કરાવવામાં આવી હતી. દરેક પરિક્રમા પૂર્ણ થયા બાદ ઠાકોરજીને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મહા આરતી ઉતારવામાં આવી હતી. આરતી દરમિયાન ઉપસ્થિત ભક્તોએ ભજન-કીર્તન સાથે ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. પરિક્રમા દરમિયાન મંદિર પરિસર 'જય રણછોડરાય', 'જય દ્વારકાધીશ' અને 'હરે કૃષ્ણ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. શરણાઈ અને બેન્ડવાજાના મંગલ સૂર સમગ્ર ધાર્મિક વાતાવરણને વધુ ભક્તિમય બનાવી રહ્યા હતા.
ભાવિકોએ લીધો દર્શનનો લાભ





