Petrol pump : જ્યારે પણ આપણે પેટ્રોલ પંપ પર કાર કે બાઇકમાં ફ્યુલ ભરાવવા જઈએ છીએ, ત્યારે આપણી નજર માત્ર મીટરના '0.00' પર જ હોય છે. આપણને લાગે છે કે, જો મીટર શૂન્યથી શરૂ થયું છે, તો બધું બરાબર છે. પરંતુ હકીકત કંઈક અલગ છે. આજકાલ પેટ્રોલ પંપ પર માત્ર મીટર રીડિંગમાં જ નહીં, પણ ફ્યુલની ગુણવતા એટલે કે, 'ડેન્સિટી' (ઘનતા) માં પણ છેતરપિંડી થઈ રહી છે. 99% લોકો આ વાતને અવગણે છે, જે તેમના માટે આર્થિક રીતે અને ગાડીના એન્જિન માટે નુકસાનકારક છે.
શું છે આ ડેન્સિટી અને તે કેમ મહત્વની છે?
સરળ શબ્દોમાં કહીએ તો, ડેન્સિટી એટલે કે, ઘનતા એ ફ્યુલની શુદ્ધતા માપવાનો માટેનો એક માપદંડ છે. પેટ્રોલ પંપ પરના મીટર પર કિંમત અને લિટરની સાથે 'Density' નું એક નાનું ખાનું પણ હોય છે. આ આંકડો જણાવે છે કે, જે પેટ્રોલ કે ડીઝલ તમારી ગાડીમાં નખાઈ રહ્યું છે તે કેટલું શુદ્ધ છે. જો ડેન્સિટી નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી કે વધારે હોય, તો તેનો અર્થ એ છે કે ફ્યુલમાં ભેળસેળ કરવામાં આવી છે.
પેટ્રોલ અને ડીઝલની સાચી ડેન્સિટી કેટલી હોવી જોઈએ?
સરકાર અને તેલ કંપનીઓ દ્વારા ફ્યુલની શુદ્ધતા માટે ચોક્કસ રેન્જ નક્કી કરવામાં આવી છે. ફ્યુલ ભરાવતી વખતે મીટર પર આ આંકડા ખાસ ચેક કરો:
પેટ્રોલની ડેન્સિટી : 730 થી 800 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર (kg/m³) ની વચ્ચે હોવી જોઈએ.
ડીઝલની ડેન્સિટી : 830 થી 900 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર (kg/m³) ની વચ્ચે હોવી જોઈએ.
જો આ આંકડો આ મર્યાદાની બહાર દેખાય, તો સમજી લેવું કે ફ્યુલમાં કંઈક ઉમેરવામાં આવ્યું છે અને તમારે તાત્કાલિક સાવધાન થઈ જવું.
મીટરના આંકડામાં થતી ચાલાકી
ડેન્સિટી સિવાય બીજી એક વાત જે તમારે જોવાની છે, તે છે મીટરની સ્પીડ. જ્યારે પેટ્રોલ ભરાવવાનું શરૂ થાય, ત્યારે મીટર પર સતત નજર રાખો. જો મીટર 0 થી સીધું 10 કે 15 પર કૂદી જાય અને વચ્ચેના આંકડા (જેમ કે 1, 2, 3...) ન દેખાય, તો એ મીટરમાં પણ કંઈક છેડછાડ કરવામાં આવેલી છે. શુદ્ધ અને પારદર્શક સિસ્ટમમાં આંકડા ક્રમશઃ વધવા જોઈએ.
ગ્રાહક તરીકે તમારા અધિકારો
ઘણા લોકો જાણતા નથી, પરંતુ ભારતના દરેક નાગરિકને પેટ્રોલ પંપ પર ફ્યુલની શુદ્ધતા તપાસવાનો અધિકાર છે. જો તમને ડેન્સિટીમાં કોઈ શંકા જણાય, તો તમે પેટ્રોલ પંપ પર મેન્યુઅલી (હાથથી) ટેસ્ટ કરાવવાની માંગ કરી શકો છો. દરેક પેટ્રોલ પંપ પર ડેન્સિટી જાર અને હાઈડ્રોમીટર જેવા સાધનો રાખવા ફરજિયાત છે. ભેળસેળયુક્ત ફ્યુલ તમારી ગાડીના એન્જિનને કાયમી નુકસાન પહોંચાડી શકે છે, તેથી જાગૃત રહેવું જ હિતાવહ છે.




















