છત્રપતિ શિવાજી સાથે સંબંધિત વધુ એક મુદ્દો મહારાષ્ટ્રમાં વેગ પકડી રહ્યો છે. પૂર્વ રાજ્યસભા સાંસદ અને કોલ્હાપુરના શાહી પરિવારના વંશજ સંભાજી રાજે છત્રપતિએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારક પાસે બનાવવામાં આવેલા શ્વાનના સ્મારકને હટાવવાની માગ કરી છે.
22 માર્ચે લખેલા એક પત્રમાં તેમણે 31 મે પહેલા આ સ્મારકને હટાવવાની અપીલ કરી છે. થોડા દાયકાઓ પહેલાં, વાઘ્યા નામના શ્વાનનું સ્મારક રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારક પાસે બનાવવામાં આવ્યું હતું, જે તેમના 17મી સદીના શાસનકાળની રાજધાની હતી.
ઐતિહાસિક પુરાવાના અભાવનો દાવો કરતા તેમણે દાવો કર્યો હતો કે શિવાજી મહારાજના આ કથિત પાલતુ શ્વાનના અસ્તિત્વ વિશે કોઈ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. આ કારણોસર, આ સ્મારક કાયદેસર રીતે સંરક્ષિત વારસા સ્થળ પર અતિક્રમણ કરવા સમાન છે.
ASIએ શિવાજીનું અપમાન કર્યું સંભાજીરાજેએ એમ પણ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે એ સ્પષ્ટતા કરી છે કે શ્વાનના અસ્તિત્વ વિશે કોઈ ઐતિહાસિક પુરાવા અથવા લેખિત દસ્તાવેજો નથી. તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું કે આ મહાન શિવાજી મહારાજના વારસાનું અપમાન છે.
ASIની નીતિ અનુસાર, 100 વર્ષથી વધુ જૂના માળખાને સંરક્ષિત સ્મારકનો દરજ્જો આપવામાં આવે છે. સંભાજીરાજેએ વિનંતી કરી હતી કે, આ સ્મારક 100 વર્ષ જૂનું થાય તે પહેલાં તેને દૂર કરવામાં આવે, જેથી તેને કાનૂની રક્ષણ ન મળે.





