વેરાવળમાં બિલ્ડરો, ડેવલોપર્સ અને એસ્ટેટ બ્રોકરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સંસદસભ્ય, ધારાસભ્ય સહિત વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે SUDA બાદ છેલ્લા દોઢ વર્ષથી તમામ મંજૂરી પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ્પ પડી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. મંજૂરી ન મળતા દોઢ વર્ષથી બાંધકામ વ્યવસાય પર ભારે અસર પડી છે અને અનેક પ્રોજેક્ટ્સ અટકી ગયા છે, જેના કારણે વ્યવસાયિકો તેમજ કામદારો મુશ્કેલીમાં મુકાયા છે.
SUDAના કારણે દોઢ વર્ષથી બાંધકામ મંજૂરીઓ ઠપ્પ
બેઠક દરમિયાન જણાવાયું હતું કે આ મુદ્દે રાજ્ય સરકાર સાથે અનેક વખત બેઠકો કરવામાં આવી છે, છતાં હજી સુધી કોઈ સ્પષ્ટ ઉકેલ આવ્યો નથી. બિલ્ડરો અને ડેવલોપર્સે ચેતવણી આપી હતી કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે. આ દરમિયાન હાજર જનપ્રતિનિધિઓએ ફરી એકવાર હૈયાધારણ આપ્યું હતું અને આગામી દિવસોમાં સરકાર સાથે ફરી વાટાઘાટ કરી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
મજૂરો,એન્જિનિયરો તમામ લોકો બેરોજગાર બન્યા
યોગ્ય નિર્ણયના અભાવે હાલની સ્થિતિ વિકટ બની હોવાનો સ્વીકાર પણ બેઠકમાં કરવામાં આવ્યો. ખાસ કરીને રાજ્ય સરકારના પરિપત્રથી વેરાવળ–સોમનાથ વિસ્તારને કોઈ ખાસ ફાયદો થયો નથી, તેવા આક્ષેપો કરવામા આવ્યા છે. કુલ મળીને, બાંધકામ ક્ષેત્રની અટકેલી મંજૂરી પ્રક્રિયા અંગે વેરાવળમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને વહેલી તકે વ્યવહારુ નિર્ણયની માંગ ઉઠી હતી.





















