સનાતન ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની નિયમિત પૂજા થતી હોય, ત્યાં સાક્ષાત્ માતા લક્ષ્મીનો વાસ થાય છે. તુલસી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આયુર્વેદિક રીતે પણ અમૃત સમાન છે. જોકે, ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે ઘરમાં 'રામા' તુલસી લગાવવી જોઈએ કે 'શ્યામા'? વાસ્તુશાસ્ત્ર મુજબ આ બંને પ્રકારની તુલસીનું પોતાનું અલગ મહત્વ છે, જે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને વાસ્તુ દોષને દૂર રાખે છે. ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય એવી તુલસીના છોડને યોગ્ય દિશા અને યોગ્ય દિવસે લગાવવાથી જીવનમાં આવતી આર્થિક અને માનસિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે. ચાલો જાણીએ રામા અને શ્યામા તુલસી વચ્ચેનો તફાવત અને તેને લગાવવાના ખાસ નિયમો વિશે.
રામા અને શ્યામા તુલસી વચ્ચેનો તફાવત
રામા તુલસી: રામા તુલસીના પાનનો રંગ આછો લીલો હોય છે અને તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. તેને 'ઉન્નતિની તુલસી' માનવામાં આવે છે. વાસ્તુ મુજબ, રામા તુલસી ઘરમાં લગાવવાથી સુખ-શાંતિ અને પોઝિટિવિટી વધે છે. તે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે.
શ્યામા તુલસી: આ તુલસીના પાનનો રંગ ઘેરો લીલો અથવા જાંબલી જેવો હોય છે, તેથી તેને 'કૃષ્ણ તુલસી' પણ કહેવામાં આવે છે. તેની સુગંધ વધુ તીવ્ર હોય છે. ધાર્મિક માન્યતા મુજબ, શ્યામા તુલસી આધ્યાત્મિક ઉન્નતિ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.
ઘરમાં કઈ તુલસી લગાવવી વધુ શુભ?
વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો મુજબ, રામા અને શ્યામા બંને તુલસી ઘરમાં લગાવવી અત્યંત શુભ છે. તમે આ બંને છોડને એકસાથે પણ લગાવી શકો છો. રામા તુલસી ઘરના વાતાવરણને પવિત્ર રાખે છે, જ્યારે શ્યામા તુલસી રોગોથી બચાવે છે અને માનસિક શાંતિ આપે છે.
વાસ્તુ મુજબ યોગ્ય દિશા અને દિવસ
શુભ દિશા: તુલસીનો છોડ હંમેશા ઘરની ઉત્તર, ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) અથવા પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશાઓમાં તુલસી રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
કઈ દિશા ટાળવી? ભૂલથી પણ તુલસીને દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. આ દિશા પિતૃઓની માનવામાં આવે છે અને ત્યાં તુલસી રાખવાથી વાસ્તુ દોષ લાગી શકે છે.
શુભ દિવસ: તુલસી લગાવવા માટે ગુરુવાર કે શુક્રવાર સૌથી ઉત્તમ દિવસ છે. આ ઉપરાંત કારતક મહિનામાં તુલસી રોપવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
1. રવિવાર, એકાદશી, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે તુલસીના પાન ક્યારેય ન તોડવા જોઈએ.
2.સૂર્યાસ્ત પછી તુલસીને અડકવું કે તેના પાન તોડવા અશુભ માનવામાં આવે છે.
3. તુલસીના છોડ પાસે ક્યારેય કચરો કે એંઠું વાસણ ન રાખવું, ત્યાં હંમેશા શુદ્ધતા જાળવવી.





