Tirumala Tirupati Devasthanams: તિરુમાલા મંદિરમાં સુરક્ષામાં ખામીને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. મંદિરની અંદર ઇંડા બિરયાની ખાતા ભક્તો ઝડપાયા છે, જે બાદ ભારે હોબાળો થઈ રહ્યો છે. વિરોધ પક્ષોએ આ અંગે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની ટીકા કરી છે. અલીપીરી ચેકપોઈન્ટ પર સુરક્ષાની ખામીઓને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તમિલનાડુના શ્રદ્ધાળુઓનું એક જૂથ તિરુમાલામાં ઇંડા બિરયાની ખાતા ઝડપાયું હતું અને આ બાબતની જાણ તિરુમાલા પોલીસને કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ભક્તોની પૂછપરછ કરી અને કહ્યું કે, આ કાયદાની વિરુદ્ધ છે. જ્યારે તિરુમાલા પોલીસે શ્રદ્ધાળુઓને કહ્યું કે, તિરુમાલામાં ઈંડા અને અન્ય માંસાહારી ખાવાની મનાઈ છે. તેના પર ભક્તોએ કહ્યું કે, તેમને આ વિશે કોઈ જાણકારી નથી. તિરુમાલા પોલીસે તેમને કડક ચેતવણી આપી અને પછી છોડી દીધા. TTDના ભૂતપૂર્વ અધ્યક્ષ ભૂમના કરુણાકર રેડ્ડીએ સુરક્ષા ભંગ માટે TTD વહીવટીતંત્રની ટીકા કરી હતી જેના કારણે આ ઘટના બની હતી.
ભૂમાના કરુણાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, "આ ઘટના TTD સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ક્ષતિઓને સ્પષ્ટપણે દર્શાવે છે કારણ કે તમિલનાડુના ભક્તો અલીપીરી ચેકપોઇન્ટ પર ફરજિયાત સુરક્ષા તપાસમાંથી પસાર થયા પછી સરળતાથી ઇંડા બિરયાનીના પેકેટો સાથે તિરુમાલા પહોંચવામાં સફળ થયા હતા."
What happened to tirumala ? Why is it getting so controversial these days?
— YSRCP America (@YSRCPAmerica) January 18, 2025
We demand all dharma parishads to talk about this!!#Tirupati #AndhraPradesh pic.twitter.com/kcifKxFbBR
તિરુપતિના સાંસદ ડો. એમ ગુરુમૂર્તિએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને મંદિરની વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ઈમાનદારી પર સવાલ ઉઠાવ્યા હતા. તિરુપતિ સાંસદે આરોપ લગાવ્યો કે, “તિરુપતિ ટ્રસ્ટના ઈતિહાસમાં સૌથી ખરાબ ભાગદોડની ઘટના 8 જાન્યુઆરીએ બની હતી, જેમાં છ તીર્થયાત્રીઓના મોત થયા હતા અને 50થી વધુ ઘાયલ થયા હતા. આ પછી રાજ્ય સરકારે કાર્યવાહી કરી અને TTD અને તિરુપતિ એસપીના મુખ્ય તકેદારી અને સુરક્ષા અધિકારીની બદલી કરી, પરંતુ બન્ને પદો પર હજુ સુધી નિમણૂક કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, તિરુમાલામાં દારૂ, માંસાહારી ખોરાક, ધૂમ્રપાન અને તમાકુ ચાવવા પર સખત પ્રતિબંધ છે. આ નિયમ ઘણા દાયકાઓથી અમલમાં છે, પરંતુ શુક્રવારે તિરુમાલા પહોંચેલા તમિલનાડુના શ્રદ્ધાળુઓનું એક જૂથ ઇંડા બિરયાની સાથે રામબાગીચા બસ સ્ટેન્ડ પર કેવી રીતે પહોંચ્યું તે તપાસનો વિષય છે.






