બજારમાં મળતું મધ શુદ્ધ છે કે તેમાં ખાંડની ચાસણી ભેળવવામાં આવી છે, તે ઓળખવું સામાન્ય ગ્રાહક માટે હંમેશા મૂંઝવણભર્યો પ્રશ્ન રહ્યો છે. આ મૂંઝવણનો ફાયદો ઉઠાવીને સોશિયલ મીડિયા પર અનેક 'જુગાડ' વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો અત્યારે ચર્ચામાં છે જેમાં એક વ્યક્તિ 100 રૂપિયાની નોટ પર મધના ટીપાં મૂકીને તેને નીચેથી સળગાવે છે. દાવો એવો કરવામાં આવ્યો છે કે જો મધ અસલી હશે તો નોટ સળગશે નહીં. આ વીડિયો અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને યુઝર્સના મતે આ પદ્ધતિ કેટલી સાચી છે તે જાણવું જરૂરી છે.
શું છે વાયરલ વીડિયોનો દાવો?
વીડિયોમાં જોવા મળે છે કે એક શખ્સ 100 રૂપિયાની નોટ લે છે અને તેના પર મધના થોડા ટીપાં મૂકે છે. ત્યારબાદ નોટની નીચેના ભાગમાં માચિસની સળગતી તીલી રાખવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, ઉપર મધ હોવા છતાં નીચેથી આગ લગાવવા છતાં નોટ સળગતી નથી, માત્ર નીચેનો ભાગ કાળો પડી જાય છે. વીડિયોમાં આ પ્રયોગ દ્વારા મધને '100% શુદ્ધ' ગણાવવામાં આવે છે.
યુઝર્સે વીડિયોની પોલ ખોલી: 'પાણી રાખશો તો પણ નોટ નહીં સળગે'
આ વીડિયો વાયરલ થતા જ સ્માર્ટ યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં ક્લાસ લીધો હતો. એક યુઝરે લખ્યું, "જો તમે મધની જગ્યાએ નોટ પર પાણી રાખશો, તો પણ હીટ ટ્રાન્સફર થવાને કારણે નોટ સળગશે નહીં. આ માત્ર ભૌતિક વિજ્ઞાનનો એક સામાન્ય નિયમ છે, મધની શુદ્ધતા સાથે તેને કોઈ લેવાદેવા નથી." અન્ય એક યુઝરે વીડિયો બનાવનાર વ્યક્તિ પર ગુસ્સો ઠાલવતા લખ્યું કે, "આ શખ્સ ગંદા હાથે મધમાં આંગળીઓ નાખી રહ્યો છે, આવી રીતે કોણ ટેસ્ટિંગ કરે?"
મધ અસલી છે કે નકલી? આ 4 સાચી રીતે કરો તપાસ
જો તમારે ઘરે જ મધની શુદ્ધતા તપાસવી હોય તો વાયરલ વીડિયોને બદલે આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી પદ્ધતિઓ અપનાવો:
વોટર ટેસ્ટ (Water Test): એક કાચના ગ્લાસમાં પાણી ભરો અને તેમાં એક ચમચી મધ નાખો. જો મધ અસલી હશે તો તે પાણીમાં ઓગળવાને બદલે સીધું તળિયે બેસી જશે. જો મધ નકલી હશે તો તે પાણીમાં તરત જ ઓગળવા લાગશે.
ગ્લોસ પેપર ટેસ્ટ (Paper Test): ફિલ્ટર પેપર અથવા સફેદ કોરા કાગળ પર મધના ટીપાં મૂકો. જો મધ કાગળમાં શોષાઈ જાય અને કાગળ ભીનો થઈ જાય, તો સમજવું કે તેમાં ભેળસેળ છે. અસલી મધ કાગળમાં શોષાતું નથી.
માચિસ ટેસ્ટ (Matchstick Test): માચિસની તીલીને મધમાં ડબોળો અને પછી તેને સળગાવવાનો પ્રયત્ન કરો. અસલી મધ જ્વલનશીલ હોય છે, તેથી તીલી તરત જ સળગશે. જો મધમાં ભેજ અથવા ખાંડની ચાસણી હશે તો તીલી સળગશે નહીં.
ટેક્સચર અને ફ્લેવર: અસલી મધ હંમેશા ઘટ્ટ અને ચીકણું હોય છે. તેની સુગંધ પણ જે ફૂલોમાંથી મધ લેવામાં આવ્યું હોય તેના જેવી પ્રાકૃતિક હોય છે.




















