Harsh Sanghvi Somnath Darshan: દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શીશ ઝૂકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તા. 11મી જાન્યુઆરીના સુચિત સોમનાથ પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ તેમજ અન્ય તૈયારીઓની સમિક્ષા કરી હતી. બપોર બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કર્યાં હતાં.
સોમનાથ મહાદેવના દર્શન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કરી સાથે જ બિલ્વપત્રો-પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરતાં ભોળાનાથને ગંગાજળ અભિષેક કર્યો હતો. દર્શન બાદ નાયબ મુખ્યમંત્રીએ આગામી 10 અને 11 તારીખના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ પ્રવાસ અંગે સ્થળ સમિક્ષા કરતાં મંદિર પરિસર, બાણસ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમા થી લઈ હમીરજી સર્કલ, ગુડલક સર્કલ સુધી ચાલીને સ્થળ સમિક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પમાં ભારતની પ્રાચીન અડગ અને શાશ્વત સાંસ્કૃતિક વિરાસતો-ધરોહરોનું પુન: જાગરણ, પ્રવાસન તીર્થ વિકાસ પણ મુખ્યત્વ છે, જેને આગળ ધપાવતા વિવિધ પ્રકલ્પો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના માર્ગદર્શનમાં ગુજરાતમાં સાકાર થઈ રહ્યા છે.
સોમનાથના તા.10 -11 જાન્યુઆરીના સૂચિત કાર્યક્રમ રૂટ નિરીક્ષણ
સોમનાથના તા.10 -11 જાન્યુઆરીના સૂચિત કાર્યક્રમના રૂટ નિરીક્ષણ વખતે નાયબ મુખ્યમંત્રીની સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ભગવાનભાઈ બારડ, જિલ્લા અગ્રણી ઝવેરી ઠકરાર, સંજય પરમાર, પુનિત શર્મા ગૌરાંગ રૂપારેલીયા સહિતના પદાધિકારીઓ ઉપરાંત અગ્ર સચિવ મિલિંદ તોરવણે, અગ્ર સચિવ અશ્વિની કુમાર, રાહુલ ગુપ્તા ,મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો વિક્રાંત પાંડે, આલોક પાંડે, દિલીપ રાણા, આઈજી નિલેશ જાજડિયા, કલેકટર એન.વી.ઉપાધ્યાય, જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.
નાયબ મુખ્યમંત્રીએ સર્કિટ હાઉસ ખાતે મંત્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી વિવિધ કાર્યક્રમોની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી બે દિવસમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા અને કામગીરી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું.





















