Ahmedabad Demolition : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલા ITI રોડ પર સ્થિત કમલ - ઉમલા તળાવ ખાતે આજે સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કમલ તળાવ આસપાસ આવેલા અંદાજે 150 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉથી જ આ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. આજે સવારથી સ્થાનિક પોલીસના ભારે બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. જોકે, મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પોતાનું ઘર તૂટતું જોઈ અનેક મહિલાઓ રડી પડી
નજર સામે પોતાનું ઘર તૂટતું જોઈ અનેક મહિલાઓ રડી પડી હતી અને તેમની હાલત દયનીય બની ગઈ હતી. આ દરમિયાન એક મહિલાને આઘાત લાગતાં તે બેભાન થઈ ગઈ હતી. પુરુષો અને બાળકોની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા. મહિલાઓ અને બાળકો બેઘર થતા રડી રહ્યાં હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કરૂણ દૃશ્યો સર્જાયા હતા.
વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
સ્થાનિક લોકોની એક જ માગ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રહેવા માટે મકાનો આપવામાં આવે. ડિમોલિશનની કાર્યવાહીથી અનેક પરિવારો બેઘર બનતાં સમગ્ર કુબેરનગર વિસ્તારમાં તણાવ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.





















