સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજ્યમાં EWS રાજકીય અનામતની માગ વધુ તેજ બની છે. આ મુદ્દે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં EWS વર્ગને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય અનામત આપવામાં આવે તેવી માગ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યભરના વિવિધ સવર્ણ સમાજોના આગેવાનો એકત્ર થયા હતા.
ચૂંટણી પહેલા EWS રાજકીય અનામતની માગ થઈ તેજ
આ બેઠકમાં પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ સહિત કુલ 58 સવર્ણ સમાજોના પ્રતિનિધિઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં EWS વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે સરકાર સમક્ષ કઈ રીતે માગણી રજૂ કરવી અને આગળની રણનીતિ શું રાખવી તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોનું માનવું છે કે EWS અનામત અમલમાં આવે તો આ વર્ગને રાજકીય ભાગીદારીમાં ન્યાય મળશે.
58 સવર્ણ સમાજના આગેવાનો થયા એકત્ર
બેઠકમાં દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથીરીયા, રમજુભા જાડેજા અને દિનેશ રાવલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ એકસ્વરે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં EWS વર્ગ માટે રાજકીય અનામત જરૂરી છે અને આ બાબતે રાજ્ય સરકાર સુધી એકસાથે મજબૂત રજૂઆત કરવામાં આવશે. બેઠક બાદ સ્પષ્ટ થયું છે કે આવનારા દિવસોમાં EWS રાજકીય અનામતનો મુદ્દો રાજ્યના રાજકારણમાં વધુ ચર્ચાનો વિષય બનશે.





















