દેશની રાજધાની દિલ્હીમાં ગુનેગારો બેફામ બન્યા છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં આવેલા મૌજપુરના એક કાફેમાં મોડી રાત્રે લોહીલુહાણ ખેલ ખેલાયો હતો. 'મિસ્ટર કિંગ લાઉન્જ એન્ડ કાફે'માં આરામથી બેઠેલા 24 વર્ષીય યુવક ફૈઝાન પર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેની નિર્મમ હત્યા કરી દીધી છે. ગોળીબાર એટલો ભયાનક હતો કે એક ગોળી યુવકના માથાને આરપાર નીકળી ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર મૌજપુર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પૈસાની લેતીદેતીનો વિવાદ હોવાનું સામે આવ્યું છે.
ત્રણ રાઉન્ડ ફાયરિંગ અને ચાકુના ઘા: ક્રૂરતાની પરાકાષ્ઠા
પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરો કાફેમાં પ્રવેશ્યા અને સીધા ફૈઝાનને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કર્યું. બદમાશોએ ફૈઝાન પર ત્રણ રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી, જેમાંથી બે ગોળી તેની છાતીમાં વાગી હતી અને ત્રીજી ગોળી માથામાં વાગતા તે આરપાર નીકળી ગઈ હતી. મૃતકના પરિવારજનોએ વધુમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે ગોળી માર્યા બાદ પણ બદમાશોએ ફૈઝાન પર ચાકુથી અનેક હુમલા કર્યા હતા. તેના હાથ પર પણ ઈજાના નિશાન જોવા મળ્યા છે, જે ગુનેગારોની હેવાનીયત દર્શાવે છે.
દેવું બન્યું મોતનું કારણ: ભાઈએ ખોલ્યા રહસ્યો
મૃતક ફૈઝાનના ભાઈએ આ હત્યા પાછળનું ચોંકાવનારું કારણ જણાવ્યું છે. તેના કહેવા મુજબ, ફૈઝાને કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લીધા હતા જે તે સમયસર ચૂકવી શક્યો ન હતો. આ બાબતે અગાઉ ઉધાર આપનાર શખ્સ અને તેના પુત્રએ ફૈઝાન સાથે જોરદાર મારપીટ પણ કરી હતી. આ મામલે ફૈઝાને ભજનપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ કદાચ એ ફરિયાદ જ તેનું મોતનું કારણ બની. પરિવારનો સીધો આરોપ છે કે જેની પાસેથી પૈસા લીધા હતા તે પિતા-પુત્રએ જ સોપારી આપીને અથવા જાતે આ હત્યાને અંજામ આપ્યો છે. જો કે, બીજી તરફ હત્યારાએ એક વીડિયો બનાવી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર પોસ્ટ કર્યો છે. જેમાં તેણે ઘણા મહિનાઓ પહેલા મળેલા થપ્પડનો બદલો લેવા માટે હત્યા કરી હોવાની કબૂલાત કરતો જોવા મળી રહ્યો છે.
?s=20સીસીટીવી ફૂટેજ અને પોલીસની તપાસ
ઘટનાની જાણ થતા જ વેલકમ પોલીસ સ્ટેશનની ટીમ, ફોરેન્સિક એક્સપર્ટ અને ક્રાઈમ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કાફેની અંદરના તમામ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં હુમલાખોરોની હિલચાલ કેદ થઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ અને અન્ય પુરાવા એકત્ર કર્યા છે. હાલમાં બીએનએસની કલમ 103(1) (હત્યા) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે.
કાફેમાં ભાગદોડ અને ગભરાટ
રાત્રે 10:30 વાગ્યાની આસપાસ જ્યારે કાફે ગ્રાહકોથી ભરેલું હતું ત્યારે થયેલા આ ગોળીબારથી ત્યાં બેઠેલા અન્ય લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા ટેબલ નીચે છુપાઈ ગયા હતા તો કોઈ બહાર ભાગ્યા હતા. દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં આ પ્રકારે પબ્લિક પ્લેસ પર થયેલી હત્યાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.





















