વર્ષ 2025ની પહેલી વિધાનસભા ચૂંટણીનો શંખનાદ વાગ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી અને પરિણામની તારીખનું એલાન કર્યું છે.
ક્યારે ચૂંટણી અને ક્યારે પરિણામ?
5 ફેબ્રુઆરીએ એક તબક્કામાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાશે. 8 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ જાહેર થશે. દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે. સરકાર બનાવવા માટે 36 બેઠક મેળવવી પડશે. 70 વિધાનસભા બેઠકોમાંથી SC ઉમેદવારો માટે 12 બેઠક ફાળવવામાં આવી છે. દિલ્હીમાં કુલ 1.55 કરોડ મતદાર છે, જેમાં 83.49 લાખ પુરૂષ તો 71.74 લાખ મહિલાઓ અને 1,261 ટ્રાન્સજેન્ડર મતદારો છે. 33 હજાર બૂથમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 લાખ યુવાનો પહેલીવાર મત્તાધિકારનો ઉપયોગ કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 10થી 17 જાન્યુઆરી દરમિયાન ઉમેદવારી નોંધાવી શકાશે, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 20 જાન્યુઆરી છે.
રણમેદાનમાં યોદ્ધાઓને ઉતારવાની તૈયારી
આમ આદમી પાર્ટીએ
તમામ 70 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટી એકલા હાથે
ચૂંટણી મેદાનમાં ઉતરી છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર ચૂંટણી લડી રહ્યા
છે. જેમની સામે ભાજપે પૂર્વ સાંસદ પ્રવેશ વર્માને ટિકિટ આપી છે. ભાજપે 29
ઉમેદવારોની પ્રથમ યાદી અત્યાર સુધી જાહેર કરી છે.
ભાજપે 29માંથી 13 ઉમેદવારને રિપીટ કર્યા છે, તો 16 નવા ઉમેદવારને તક આપી
છે. દિલ્હીમાં વર્તમાન મુખ્યમંત્રી આતિશી
સામે ભાજપે પૂર્વ સાંસદ રમેશ બિઘૂરીને તો આપના મનીષ સિસોદિયા સામે તરવિંદર સિંહ
મારવાને ટિકિટ આપી છે. કોંગ્રેસે 48 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં આતિશી સામે
તેમણે અલકા લાંબાને ટિકિટ આપી છે. કેજરીવાલ સામે કોંગ્રેસે સંદીપ દીક્ષિતને ટિકિટ
આપી છે તો મનીષ સિસોદિયા સામે ફરહાદ સૂરીને ટિકિટ આપવામાં આવી છે.
AAP પર સૌની ખાસ નજર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે સૌની નજર આમ આદમી પાર્ટી પર રહેવાની છે. ગત વિધાનસભાની ચૂંટણીઓના તુલનામાં આ ચૂંટણીને આપ માટે સૌથી પડકારજનક માનવામાં આવી રહી છે. ગત વર્ષે 21 માર્ચ 2023એ શરાબનીતિ કેસમાં તેમની પર કથિત ગેરરીતિના આરોપ લાગ્યા, જે બાદ EDએ લિકર પોલિસી કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલને 176 સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો. કેજરીવાલ હાલ જામીન પર બહાર છે. આ અગાઉ મનીષ સિસોદિયા પણ લિકર પોલિસી કેસમાં સજા કાપી ચૂક્યા છે. જેલમાંથી બહાર આવ્યાના ત્રીજા દિવસે જ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું, અને આતિશીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. 21 સપ્ટેમ્બરે આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત બાદ આતિશી તરીકે દિલ્હીને ત્રીજા મહિલા મુખ્યમંત્રી મળ્યા છે





