ઉમરપુર ગામ ખાતે વીજ કરંટની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સસરાને બચાવવા દોડી આવેલી પુત્રવધુએ પોતાનું જીવન ગુમાવ્યું છે. આ દુર્ઘટના શહેરા તાલુકાના બારીયા ફળિયામાં બની હતી, જેના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, 40 વર્ષીય સુશીલાબેન દિલીપભાઈ રાઠોડ પોતાના નિવાસસ્થાને હાજર હતા. તે દરમિયાન તેમના સસરા રાયજીભાઈ રાઠોડ ઘર પાસે આવેલા ઝાડ પરથી દાતણ તોડી રહ્યા હતા. દાતણ તોડવા માટે તેઓ લોખંડના સળિયાનો ઉપયોગ કરી રહ્યા હતા. દુર્ભાગ્યવશ, દાતણ તોડતી વખતે લોખંડનો સળિયો નજીકથી પસાર થતી હાઈ-ટેન્શન વીજ લાઇનના તાર સાથે અડકાઈ ગયો હતો.
વીજ કરંટથી મોત
સળિયો વાયરને સ્પર્શતા જ રાયજીભાઈને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તેઓ તરફડવા લાગ્યા. આ દૃશ્ય જોઈ સુશીલાબેન તરત જ સસરાને બચાવવા દોડી ગયા હતા. પરંતુ તેમને ખબર ન રહી કે સળિયો હજી પણ વીજ પ્રવાહના સંપર્કમાં હતો. સસરાને છોડાવવાનો પ્રયાસ કરતી વખતે તેઓ પોતે પણ કરંટની ઝપેટમાં આવી ગયા. વીજ પ્રવાહ એટલો પ્રચંડ હતો કે સુશીલાબેન ઘટના સ્થળે જ બેભાન થઈ પડ્યા. પરિવારજનો અને આસપાસના લોકો તરત જ મદદ માટે એકત્ર થયા અને બંનેને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા. સુશીલાબેનને સારવાર માટે લઈ જવાયા, પરંતુ દુર્ભાગ્યે સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું.
જ્યારે રાયજીભાઈ રાઠોડને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ કરુણ ઘટનાએ પરિવારજનોને જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને પંથકને શોકમગ્ન કરી દીધા છે. સસરાને બચાવવા દોડી આવેલી પુત્રવધૂએ બતાવેલી માનવતા અને હિંમતની ભાવનાએ ગામમાં કરુણ યાદો છોડી છે.




















