અમેરલીના દામનગર ખાતે ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સમયે જનક તળાવીયા પણ હાજર હતા.
લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું કે, "આજે સવારે 10.00-10.30 વાગ્યે ઠાંસાથી જામનગર રોડ ઉપર જામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી. ચાલુ વિધિમાં ઠાંસા ગામના વાતની અને અમરેલી જિલ્લા સહકારી મધ્યસ્થ સહકારી બેન્કના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા કોઈને ખબર પણ ન હતી એ રીતે પાછળથી પ્રકાશભાઈ પર હુમલો કર્યો છે."
પારિવારિક ઝઘડાની અદાવતમાં હુમલો
લાઠી ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, "મારી પાસે જે પ્રકારે માહિતી આવી છે તે પ્રમાણે, વર્ષ દોઢ વર્ષ પહેલા તેમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણ અને અદાવતના કારણે આ હુમલો થયો છે. એવું મને પાછળથી જાણવા મળ્યું છે."
હુમલા બાદ હીરાભાઈને તાત્કાલિક ભાવનગરની ટીમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સુધારા પર છે અને જોખમની બહાર હોવાનું જણાવાયું છે. ટેલિફોનિક વાતચીત દ્વારા મળેલી માહિતી મુજબ તેઓ અત્યારે સ્વસ્થ છે. પોલીસ પણ તે દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે.




















