વૈશ્વિક ઊર્જા બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાતા કુલ મળીને આશરે 16 ટકા જેટલો કડાકો આવ્યો છે. આ ઘટાડાને વર્ષ 2026 દરમિયાનનો સૌથી મોટો અને લાંબો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. આ સ્થિતિ ભારત જેવા મોટા તેલ આયાતકાર દેશ માટે સારા સમાચાર તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતા વધી છે.
અમેરિકન બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) ક્રૂડનો ભાવ 77 ડોલર પ્રતિ બેરલની નીચે સરકી ગયો છે, જ્યારે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રન્ટ ક્રૂડ પણ 79 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયો છે. બજારમાં આવેલી આ નરમાઈ પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઇરાન વચ્ચે સંભવિત સમજૂતી અંગે ઉભી થયેલી આશા માનવામાં આવી રહી છે.
અમેરિકા-ઈરાન વચ્ચે કરારની આશાએ બજારમાં બદલાયો માહોલ
ઊર્જા ક્ષેત્રના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઇરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી સંપૂર્ણપણે ખુલ્લું રાખવા અને તેલની સપ્લાયને સામાન્ય બનાવવા માટે મહત્વપૂર્ણ વચગાળાની સમજૂતી થઈ શકે છે. જો આ કરાર અમલમાં આવે તો ઇરાનને ફરીથી વૈશ્વિક બજારમાં મોટા પાયે તેલની નિકાસ કરવાની મંજૂરી મળી શકે છે.
ઇરાન વિશ્વના મહત્વના તેલ ઉત્પાદક દેશોમાં સામેલ છે. વર્ષોથી લાગેલા વિવિધ આર્થિક પ્રતિબંધોના કારણે તેની નિકાસ ક્ષમતા પર અસર પડી હતી. જોકે, સંભવિત કરાર પછી બજારમાં લાખો બેરલ વધારાના તેલની સપ્લાય ઉપલબ્ધ થઈ શકે છે. પરિણામે વૈશ્વિક બજારમાં સપ્લાય અંગેની ચિંતાઓ ઘટી છે અને રોકાણકારોએ ભાવમાં ઘટાડાની દિશામાં સટ્ટાબાજી શરૂ કરી છે.
હોર્મુઝની ખાડી કેમ છે વિશ્વ માટે મહત્વપૂર્ણ?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક છે. વૈશ્વિક દરિયાઈ માર્ગે થતો આશરે 20 ટકા જેટલો ક્રૂડ ઓઇલ વેપાર આ માર્ગ પરથી પસાર થાય છે. મધ્યપૂર્વના અનેક તેલ ઉત્પાદક દેશો માટે આ માર્ગ જીવનરેખા સમાન ગણાય છે.
તાજેતરના ભૂરાજકીય તણાવને કારણે બજારમાં એવી આશંકા હતી કે હોર્મુઝ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો થશે તો વૈશ્વિક સ્તરે તેલની સપ્લાય ખોરવાઈ શકે છે. આ જ કારણસર અગાઉ ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી હતી. હવે સ્થિતિ સુધરવાની આશા ઉભી થતા બજાર ફરીથી સંતુલનની દિશામાં આગળ વધી રહ્યું છે.
જોકે નિષ્ણાતો ચેતવણી પણ આપી રહ્યા છે કે શાંતિ સમજૂતી થયા બાદ પણ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાઓ, જહાજોની તપાસ અને પરિવહન વ્યવસ્થાના પુનઃસંચાલન માટે કેટલાક અઠવાડિયા લાગી શકે છે.
આ પણ વાંચો: IPO બજારમાં ફરી આવશે રોનક : Zepto, NSE સહિત આ દિગ્ગજ કંપનીઓના આવી રહ્યા છે IPO
ઘટતા અમેરિકન ભંડાર વચ્ચે પણ ભાવ કેમ ઘટ્યા?
રસપ્રદ વાત એ છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ત્યારે જોવા મળી રહ્યો છે જ્યારે અમેરિકાના સ્થાનિક તેલ ભંડારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તાજેતરના આંકડાઓ મુજબ અમેરિકાના ક્રૂડ ઓઇલ સ્ટોકમાં અંદાજે 83 લાખ બેરલનો ઘટાડો નોંધાયો છે. ઓકલાહોમાના કુશિંગ હબ સહિતના મુખ્ય સંગ્રહ કેન્દ્રોમાં પણ ભંડાર ઘટ્યા છે.
સામાન્ય રીતે ભંડાર ઘટે ત્યારે કિંમતોમાં વધારો થવાની સંભાવના રહેતી હોય છે, પરંતુ હાલમાં બજાર ભવિષ્યમાં વધનારી સપ્લાયને વધુ મહત્વ આપી રહ્યું છે. એટલે કે, રોકાણકારોનું માનવું છે કે ઇરાનની નિકાસ ફરી શરૂ થશે તો ભવિષ્યમાં પૂરતી સપ્લાય ઉપલબ્ધ રહેશે, જેના કારણે હાલના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે. ફ્યુચર્સ માર્કેટમાં પણ વેપારીઓ લાંબા ગાળાની સપ્લાયની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને પોતાની સ્થિતિમાં ફેરફાર કરી રહ્યા છે, જેનાથી કિંમતોમાં વધુ નરમાઈ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: આ 10 આવક સ્ત્રોત પર લાગતો નથી એક રૂપિયાનો પણ ટેક્સ : રિટર્ન ભરતી વખતે જાણો મહત્વના નિયમો
ભારતને કેવી રીતે મળશે સીધો લાભ?
ભારત પોતાની કુલ જરૂરિયાતના લગભગ 85 ટકા જેટલા ક્રૂડ ઓઇલ માટે આયાત પર નિર્ભર છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં થતો દરેક મોટો ભાવ ફેરફાર સીધી રીતે ભારતીય અર્થતંત્રને અસર કરે છે. ક્રૂડ ઓઇલ સસ્તું થવાથી દેશની સરકારી અને ખાનગી ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો આયાત ખર્ચ ઘટશે. જો વૈશ્વિક બજારમાં ભાવ લાંબા સમય સુધી નીચા સ્તરે ટકી રહેશે તો પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં ઘટાડો કરવાની સંભાવના વધી શકે છે. આ ઉપરાંત પરિવહન ખર્ચ ઘટવાથી મોંઘવારી પર પણ નિયંત્રણ આવી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનો લાભ માત્ર વાહનચાલકોને જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્રને મળી શકે છે. ઉત્પાદન ક્ષેત્ર, લોજિસ્ટિક્સ, હવાઈ પરિવહન અને કૃષિ સહિતના અનેક ક્ષેત્રોના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.
સરકાર માટે પણ આ સ્થિતિ અનુકૂળ બની શકે છે. આયાત બિલમાં ઘટાડો થવાથી રાજકોષીય ખાધને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને વિદેશી ચલણના ભંડાર પર દબાણ ઘટશે. પરિણામે ભારતીય રૂપિયાને પણ મજબૂતી મળી શકે છે.





