લીડ્સ હેડિંગ્લે ખાતે રમાયેલા પ્રથમ ટેસ્ટમાં શાર્દૂલે સારો દેખાવ કર્યો નથી, જેના કારણે ઘણા ચાહકો અને કિક્રેટ વિશ્લેષકોએ તેમને બીજી ટેસ્ટમાંથી બહાર રાખવાની માંગ કરી છે. શાર્દૂલે પ્રથમ ઇનિંગમાં માત્ર 6 ઓવર રમી હતી અને જેમાં પણ તે સારો પ્રદર્શન કરી શક્યો ન હતો. જોકે બીજી ઇનિંગમાં તેણે બે મહત્વની વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતને મેચ પોતાના તરફી થવાની આશાઓ જાગી હતી, પરંતુ તે આશાઓ લાંબા સમય ટકી શકી ન હતી. રહાણે, જેણે શાર્દૂલ સાથે ઘણા વર્ષો ક્રિકેટ રમી છે, તેણે શુભમન ગિલને સલાહ આપી કે શાર્દૂલ પર વધુ વિશ્વાસ રાખવો જોઈએ.
''શાર્દૂલ ઠાકુર એક અનુભવી ખેલાડી છે...''
તેમણે પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું, કે "હું માનું છું કે એક ઓલરાઉન્ડરનો રોલ ખૂબ મહત્વનો હોય છે. શાર્દૂલ ઠાકુર એક અનુભવી ખેલાડી છે અને તેણે વિદેશમાં ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. મને લાગે છે કે શાર્દૂલને વધુ ઓવર્સ મળવી જોઈએ. ભારતીય ટીમ જો શાર્દૂલનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો ખૂબ ફાયદો થઈ શકે છે. જેવું મેં જોયું છે એ મુજબ તે બંને બાજુએ બોલ સ્વિંગ કરાવી શકે છે અને તે વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. જો શાર્દૂલને ફર્સ્ટ ચેન્જ તરીકે કે નવા બોલર તરીકે લેવામાં આવે તો તે અસરકારક સાબિત થઈ શકે છે"
તેને થોડી છૂટછાટ આપવી જોઈએ: રહાણે
રહાણે વધુમાં કહ્યું કે,"ડ્યુક બોલ 10-12 ઓવર પછી વધુ મૂવ કરવાનું શરૂ કરે છે. જો શાર્દૂલ બુમરાહ સાથે બોલિંગ શરૂ કરે અને સિરાજ પહેલી ચેન્જ તરીકે આવે તો એ એક સારી સ્ટ્રેટેજી થઈ શકે. હું શાર્દૂલને વધુ ઓવર્સ ફેંકતા જોવા માગું છું. તેને થોડી છૂટછાટ આપવી જોઈએ, તો તે તમને વધુ વિકેટ લઈ શકે તેમ છે". આ રીતે રહાણે એ શાર્દૂલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ ગણાવી છે અને ટીમ મેનેજમેન્ટને સૂચન કર્યું છે કે ખેલાડીઓમાં વિશ્વાસ મૂકવો જરૂરી છે, ખાસ કરીને એવા ખેલાડીઓમાં જેમણે અગાઉ પણ ટેસ્ટ મેચોમાં તોફાન મચાવ્યું છે.





















