રાજ્યમાં દર થોડા દિવસે કોઈક બ્રિજમાં ખામીઓ સામે આવી રહી છે ક્યાંક બ્રિજમાં તિરાડ પડે છે તો ક્યાંક ખાડા પડી ગયા છે. તંત્ર દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કરાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે અમદાવાદના સુભાષબ્રિજ અને ઇન્કમટેક્સ બ્રિજ બાદ હવે શહેરના સૌથી VVIP અને અમદાવાદ - ગાંધીનગરને જોડતા ઈન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા જોવા મળ્યા છે.
તમને જણાવી દઈએ કે, CM થી લઈને તમામ નેતાઓ અને ધારાસભ્યોની આ બ્રિજ ઉપરથી અવરજવર હોય છે. ખાસ કરીને એરપોર્ટથી ગાંધીનગર જવા માટેના બ્રિજ ઉપર તિરાડ અને ખાડા પડતા તંત્રની સામે ખૂબ મોટા સવાલ ઉભા થયા છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના સુભાષબ્રિજ અને ઇન્કમટેક્સ બ્રિજની ઘટના બાદ તંત્ર દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં કોઈ કામગીરી દેખાતી નથી.
સૌથી વ્યસ્ત VVIP બ્રિજ, ઈન્દિરા બ્રિજ, જે ગાંધીનગર અને અમદાવાદને જોડે છે. મુખ્યમંત્રી અને તમામ નેતાઓ આ બ્રિજથી રોજના અવરજવર કરે છે. ખાસ કરીને એરપોર્ટથી ગાંધીનગર પહોંચવા માટે આ માર્ગ VVIP રુટમાં આવે છે, ત્યારે બ્રિજ પર આવી બેદરકારી ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે.
રોજના એક લાખથી વધુ વાહનચાલકો આ બ્રિજ પરથી પસાર થાય છે, છતાં માર્ગ અને મકાન વિભાગ તેને રીપેરીંગ માટે પૂરતું ધ્યાન આપતું નથી. રાજ્યના તંત્રની આ બેદરકારીને લઈને લોકોમાં ભારે સવાલો ઉભા થયા છે.





















