ભાવનગરમાં બે દિવસ પહેલા બનેલા એક હૃદયવિદારી બનાવે પોલીસ તંત્ર અને સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલએ ભૂતેશ્વર ગામ નજીક દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ બાદ મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવતા મામલો વધુ ચકચારમાં આવ્યો છે.
PSI પર પરિવારના આક્ષેપ
પરિવારજનોનો આક્ષેપ છે કે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ બી.કે. ગોસ્વામી દ્વારા આપવામાં આવતા સતત માનસિક ત્રાસના કારણે દિગ્વિજયસિંહ ગોહિલે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું. પરિવારજનોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી તણાવમાં હતા અને આ બાબતે અનેક વખત પોતાની વ્યથા વ્યક્ત કરી હતી, છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં તેમને આ કઠોર નિર્ણય લેવો પડ્યો.
ક્ષત્રિય સમાજને ન્યાય માટે આગળ આવવા આહ્વાન કર્યું!
મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવાર પર આ દુઃખદ ઘટનાનો ભારે આઘાત પડ્યો છે. તેઓ પોતાના પાછળ એક દીકરો અને એક દીકરીને છોડીને ગયા છે, જેમણે નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારજનો માટે આ નુકસાન અપૂરણીય હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ સમગ્ર મામલે મૃતકના બેન દ્વારા ક્ષત્રિય સમાજને ન્યાય માટે આગળ આવવા આહવાન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે જો આ કેસમાં જવાબદાર ગણાતા ઘોઘા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી.કે. ગોસ્વામી વિરુદ્ધ કડક પગલા લેવામાં નહીં આવે, તો પરિવારજનોએ કલેકટર કચેરીમાં ધરણા પર બેસવાની ચીમકી આપી છે.





















