મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચે રાજકીય 'ચેલેન્જ'ની નિવેદનબાજી ચાલી રહી છે. ભાજપ અને AAPના નેતા વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના નેતાનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના મનહર પટેલે કહ્યું કે, ''આ ભાષા ધારાસભ્યોને શોભે નહીં''
''ગુજરાતના પ્રાણ પ્રશ્નો પર કોઈપણ દ્રષ્ટિકોણ ખરો?''
કોંગ્રેસના મનહર પટેલે કહ્યું કે, ''અમને મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા છે કે, મોરબીના એક ધારાસભ્ય અને વિસાવદરના ધારાસભ્ય એકબીજા સામે શબ્દોથી બાયો ચડાવે છે અને 'તારા બાપમાં ફેર અને તારા બાપમાં ફેર હોય' આવી અભદ્ર ભાષામાં ધારાસભ્યો અફીણી ઘેનની અંદર એકબીજા સામે ચડીયાતી વાતો કરે છે. આ ધારાસભ્યોમાં ગુજરાતના પ્રાણ પ્રશ્નો પર કોઈપણ દ્રષ્ટીકોણ ખરો? તેમ જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાઓ છો ત્યારે જનતા આગળ માંથા ટેકવી ટેકવીને મત માંગો છો અને જનતા મત આપે છે કે, તેમના સુખ અને દુ:ખમાં સહભાગી થશે પરંતુ તમારો એ તરફ કોઈ દ્રષ્ટીકોણ છે?
''...બાપને વચ્ચે લાવવાની ક્યાં જરૂર પડી?''
મનહર પટેલે જણાવ્યું કે, ''માત્ર ચૂંટણીઓ ઠોકવા માટે આવા શબ્દો બોલવાના!, આ ચૂંટણીનો કોના માથે ભાર? જનતાના કમર ઉપર આર્થિક ભાર મૂકીને ચૂંટણીઓ લાવવાની અને સંતોષ માનવાનો? વધુમાં કહ્યું કે, ''બે ધારાસભ્યો બહું બોલકા છે, તમારા મોરબી અને વિસાવદરમાં 25 વર્ષ જૂના પ્રશ્નો પડ્યા છે, જેના પર એક શબ્દ બોલવા કોઈ તૈયાર નથી અને આ મુદ્દામાં બાપને વચ્ચે લાવવાની ક્યાં જરૂર પડી?
જાણો બે ધારાસભ્યો વચ્ચેની નિવેદનબાજી
ચેલેન્જની રાજનીતિમાં ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયા બે એક બીજાને ચેલેન્જ ફેંકી રહ્યાં છે, જે રાજીનામાની અને ફરીથી ચૂંટણી લડવાની ચેલેન્જને સ્વીકારી પણ રહ્યાં છે. કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, "સોમવારે હું ને ગોપાલભાઈ બંને વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને ભેગા જ રાજીનામું આપીએ, રાજીનામા આપ્યા પછી, મોરબીમાં ચૂંટણી લડીએ" વધુમાં કહ્યું કે, "હું પાકી જબાનનો માણસ છું. જો હું મોરબીથી હારીશ, તો તમને ₹2 કરોડ આપીશ!, જો હવે ગોપાલ પોતાની વાતથી ફરશે, તો એના બાપમાં ફેર નહીં ને જો હું ફરું, તો મારા બાપમાં ફેર હોય!"
''હું તો સાત વાર ચૂંટણી લડ્યો છું'
કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને કહ્યું હતું કે, ''તમે તો ખાલી એકવાર ચૂંટાયા છો, ને હું તો સાત વાર ચૂંટણી લડ્યો છું, તમે અહીં આવો, તમારા આપના દેશના તમામ નેતાઓ આવે ને આપણે ચૂંટણી લડીએ, વિસાવદરમાં એક સીટ જીત્યા એટલે આપના કાર્યકરોએ ને નેતાઓએ આટલો બધો ઉપાડો લીધો છે"
ક્યાંથી 'રાજકીય ચેલેન્જ'ની શરૂઆત થઈ?
પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા જીત્યા બાદ તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો કે, કોઈ પણ ધારાસભ્યને તમે લઈ જાઓ અને બેઠક ખાલી કરીને પેટા ચૂંટણી કરાવી જુઓ, જો કે, આ નિવેદન બાદ મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આદોલનમાં કહ્યું હતું કે, ''AAPના નેતા ગોપાલ ઈટાલિયા જો મોરબી ચૂંટણી લડવા આવે તો હું રાજીનામુ આપી દઈશ અને જો જીતી જશે તો બે કરોડ રૂપિયા પણ આપીશ''
ગોપાલ ઈટાલિયા એ શું ચેલેન્જ આપી હતી?
આ ચેલેન્જ પછી ગોપાલ ઈટાલિયાએ વીડિયો જાહેર કરી કહ્યું હતું કે, ''મોરબીના ધારાસભ્યએ જે મને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે, તે હું સ્વીકારૂ છું. તેઓ 12 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દે, ફરી ના જતાં ગોપાલ ઈટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે''.




















