Gandhinagar Contaminated Water : ગાંધીનગરમાં દૂષિત પાણીને લઈ ફરી એકવાર ટાઇફોઇડના કેસોએ માથું ઉચક્યું છે. 1000થી વઘુ દર્દી સારવાર હેઠળ છે જ્યારે એક બાળકનું શંકાસ્પદ મૃત્યુ પણ થયું છે. જો કે, આ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
'સરકારે એક અપ્લિકેશન બનાવવી જોઈએ'
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, 'ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસએ ચિંતાજનક છે સરકાર તરફથી જે આંકડો અપાય છે અને લોકો મારફતે માહિતી મળે છે. તે બે માંએ ઘણો મોટો તફાવત છે. ત્યારે આ મામલે મારી સરકાર પાસે એક માંગ છે કે સરકારે એક અપ્લિકેશન બનાવવી જોઈએ. જેમાં સરકાર અને પ્રાઈવેટ દરેક ડોક્ટરો-હોસ્પિટલો તેમને ત્યાં નોંધાતા કેસોની સંખ્યા અપલોડ કરી શકે'.
'ટાઇફોઇડનો સાચો આંકડો જાણવો ખૂબ જ જરૂરી છે'
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, 'ટાઇફોઇડનો સાચો આંકડો જાણવો ખૂબ જ જરૂરી છે ત્યારે એક સાચો આંકડો નહીં મળે તો જે અંગે આપણે આગોતરૂ આયોજન પણ નહી કરી શકીએ. ટાઇફોઇડનો બેક્ટિરીયાએ ઘણું ડેન્જર છે, જે કિસ્સાઓને આપણે સામાન્ય રીતે ના લઈ શકીએ. જે ટાઇફોઇડનો બેક્ટિરીયા દૂષિત પાણીના કારણે જ ફેલાય છે'.
'સરકારે આ અંગે ગંભીરતાથી લેવું જોઈએ'
તેમણે કહ્યું કે 'સેક્ટર 21માં પણ કિસ્સા સામે આવ્યા છે. ગાંધીનગરમાં મોટા પાયે દૂષિત પાણી પહોંચી રહ્યું છે. જેના કારણે મોટી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. સરકારે આ અંગે ગંભીરતાથી લેવું જોઈએ'.





















