અમરેલી જિલ્લોમાં વોટ ચોરીના મુદ્દે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમરેલી જિલ્લા પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોવાનો આરોપ લગાવી સત્તાધારી પક્ષના નેતાઓને ખુલ્લેઆમ નિશાન પર લીધા હતા.
વોટ ચોરી મુદ્દે રાજકારણ ગરમાયું
પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે SIR પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 7 ભરવામાં મોટા પાયે ગોલમાલ થઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે મતદારોના હક છીનવવા માટે આયોજનબદ્ધ રીતે વોટ ચોરી કરવામાં આવી રહી છે. દુધાતે કહ્યું કે અમુક નેતાઓ અને કાર્યકરો દ્વારા નિમ્નકક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે, જે લોકશાહી માટે ખતરારૂપ છે.
ઊંડી તપાસની માંગ કરી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દુધાતે આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, 16 જાન્યુઆરીના રોજ માત્ર 65 ફોર્મ રજૂ થયા હતા, જ્યારે 20 જાન્યુઆરીના રોજ અચાનક 8069 ફોર્મ રજૂ થયા. આટલી મોટી સંખ્યામાં ફોર્મ એક જ દિવસમાં આવવું શંકાસ્પદ હોવાનું તેમણે જણાવ્યું અને તેની ઊંડી તપાસની માંગ કરી. તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયા પાછળ રાજકીય દબાણ અને ગેરરિતી હોવાની શક્યતા નકારી શકાય નહીં.
'મતદારોના મત કચડવાનો પ્રયાસ...'
દુધાતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મતદારોના મત કચડવાનો પ્રયાસ કરનારાઓ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો વોટ ચોરી જેવા ગંભીર મુદ્દાઓને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરવા મજબૂર બનશે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રતાપ દુધાતે અમુક નેતાઓ સામે અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. સમગ્ર મામલે હવે પ્રતિક્રિયાઓ શરૂ થઈ છે અને આગામી દિવસોમાં અમરેલીની રાજનીતિમાં વધુ ઘમાસાણ થવાની શક્યતા છે.





















